કેરળસ્વરન્ : ટી. રમણ નમ્બીસાન(1888-1983)કૃત મલયાળમ ઐતિહાસિક નવલકથા. વેત્તાતના રાજા વિશે લખાયેલી આ એકમાત્ર નવલકથામાં રાજા અને કાલિકટના ઝામોરીન-સામૂતિરિ વચ્ચેના સંબંધોના પ્રવાહો અને પ્રતિપ્રવાહોનું નિરૂપણ છે. તેમાં ઐતિહાસિક હકીકતોનું નિરૂપણ છે પણ તેની સાહિત્યિક ગુણવત્તાને કારણે તે મલયાળમની એક ઉત્તમ બલકે શ્રેષ્ઠ ઐતિહાસિક નવલકથા બની છે. મલયાળમના અન્ય કોઈ નવલકથાકારે નવલનાં તમામ અંગોની આટલી ચીવટ ને ચોકસાઈથી મિલાવટ કરી નથી. લેખકે બીજી કોઈ મલયાળમ નવલકથામાં કથાનાં વસ્તુ, વાતાવરણ અને પાત્રો સાથેનું આ નવલકથા જેટલું લેખકનું તાદાત્મ્ય જોવા મળતું નથી. નવલકથાના આનુષંગિક વસ્તુ રૂપે રાજકુમાર અને એક સામાન્ય કન્યાના પ્રણયનો કોમળ તંતુ ગૂંથેલો છે.

અક્કવુર નારાયણન્