કુરાત્સુકુરી, તોરી (જીવનકાળ : સાતમી સદીનો પૂર્વાર્ધ, જાપાન) : જાપાની શિલ્પીઓની પરંપરામાં પ્રથમ અગ્રિમ શિલ્પી. કુરાત્સુકુરી ચુસ્ત બૌદ્ધ અનુયાયી હતો. ઘોડાની પલાણ પર જરીકામ કરવાની સાથે તે બુદ્ધની કાંસામાંથી પ્રતિમાઓ પણ બનાવતો. સામ્રાજ્ઞી સુઈકો અને પાટવીકુંવર શોટોકુએ તેની પાસે તત્કાલીન જાપાની રાજધાની નારા ખાતે કાંસામાંથી 4.87 મીટર (સોળ ફૂટ) ઊંચું બુદ્ધનું શિલ્પ બનાવડાવ્યું. આ શિલ્પને કુરાત્સુકુરીની શ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે. કુરાત્સુકુરી ઉપર ઉત્તર ચીનની ચોથીથી છઠ્ઠી સદી સુધીના રાજવંશ વેઈના કાળના પથ્થરમાંથી કંડારેલાં શિલ્પોનો ગાઢો પ્રભાવ જોવા મળે છે.

અમિતાભ મડિયા