કાવ્યપાક : ભારતીય કાવ્યશાસ્ત્ર અનુસાર કવિએ પ્રયોજેલા શબ્દોને સ્થાને પર્યાયો મૂકતાં કાવ્યનું સૌંદર્ય જળવાય નહિ એવું રચનાકૌશલ. કવિએ પોતાની કાવ્યરચનામાં કરેલા એવા શબ્દોનો પ્રયોગ જેમને સ્થાને તેમના સમાનાર્થી શબ્દો મૂકવાથી કાવ્યનું મૂળ સૌન્દર્ય ખંડિત થાય એવી રચનામાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર ‘કાવ્યપાક’ સિદ્ધ થયો કહેવાય. પોતાનો ઇષ્ટાર્થ વ્યક્ત કરવા સારુ કવિ અમુક યોગ્ય શબ્દોનો પ્રયોગ કરે ત્યારે ‘શબ્દપાક’ અને રસની અભિવ્યક્તિ માટે અર્થગામ્ભીર્યયુક્ત સમર્થ પદરચના કરે ત્યારે ‘રસપાક’ સિદ્ધ થાય એમ આચાર્ય વામનનો મત છે. અન્ય આચાર્યો એને સર્વગ્રાહી કાવ્યપાકના લક્ષણ તરીકે સ્વીકારે છે.

ર. ચિ. ત્રિપાઠી