કંવલ, જશવંતસિંહ (જ. 1919, ધુદિકે, જિ. મોગા, પંજાબ) : પંજાબના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમની નવલકથા ‘તૌશાલી દી હંસો’ માટે તેમને 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી. ખેતીનો વ્યવસાય અપનાવવાની સાથે સામાજિક કાર્યકર્તા તરીકેની ભૂમિકા નિભાવી છે. તેમણે દેશ-વિદેશનો લાંબો પ્રવાસ ખેડ્યો છે.

જશવંતસિંહ કંવલ

1940માં તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. આજ સુધીમાં તેમની 27 નવલકથાઓ અને 13 વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. તેમની ઘણી કૃતિઓના અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા છે. તેમની સાહિત્યિક સેવાઓ ધ્યાનમાં લઈને તેમને પંજાબ સરકારના ભાષા વિભાગ, અને પંજાબી સાહિત્ય અકાદમી તરફથી ઘણાં ઇનામો તથા પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

તેમની પુરસ્કૃત નવલકથા ‘તૌશાલી દી હંસો’ ભારતીય સાંસ્કૃતિક  ઐતિહાસિક અંતરાલની આકર્ષક છબીઓ રજૂ કરે છે. તેમનું ભારતીય વિવિધતાવાદી ચિત્રાંકન, મૂલ્યો માટેનું તેમનું ઉત્કટ નિવેદન અને તેમની મનોહર શૈલીને લીધે એ કૃતિ ભારતીય નવલકથાસાહિત્યમાં મહત્વનું પ્રદાન લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા