ઑટોરિક્ષા : પેટ્રોલથી ચાલતું ત્રણ પૈડાંનું ઝડપી વાહન. શહેરમાં વાહનવ્યવહારની ભારે ભીડમાં ઑટોરિક્ષા નાનું અને અનુરૂપ વાહન હોઈ લોકપ્રિય થયેલું છે. તે ત્રણ પૈડાંવાળું વાહન હોવાથી તે ચલાવવા માટે દ્વિચક્રી વાહન જેવી સસ્તી અને સરળ યોજના હોય છે. તેમાં 150 કે 175 મિલી. લિટર ક્ષમતાવાળું એક સિલિન્ડર, 2 ફટકાવાળું (two strokes) વાતશીત પેટ્રોલ એન્જિન અને સ્કૂટરની માફક હૅન્ડલ પર ક્લચ અને ગિયર પસંદ કરવાની ગોઠવણ છે. ગિયર-બૉક્સ ચાર ગતિ આપે છે. ઊલટી દિશાની ગતિ માટે ગિયર પસંદ કરવાની અલાયદી સગવડ છે. પાછલી ધરી સક્રિય હોય તો એન્જિન ઊભું મૂકીને પ્રોપલર શાફ્ટ, યુનિવર્સલ જોઇન્ટ અને ક્રાઉન, પ્રિનીઅન અને ડિફરેન્શિયલનો ઉપયોગ થાય છે. બીજી પદ્ધતિમાં એન્જિન આડું મૂકીને ગિયરબૉક્સ સાથે જ ડિફરેન્શિયલ એકમને સામેલ કરીને ચેઇન મારફત ડાબા અને જમણા પૈડાને શક્તિ પહોંચાડાય છે. આગલા પૈડાના નિલંબન માટે કૉઇલ સ્પ્રિંગ વપરાય છે, જ્યારે પાછલાં પૈડાં માટે લીફ-સ્પ્રિંગ અથવા મરોડ દંડ (torsion bar) વપરાય છે. એન્જિનનું સ્થાન ચાલકની બેઠક નીચે કે પાછળના ભાગમાં ઉતારુઓની બેઠક નીચે હોય છે. બ્રેક સામાન્ય રીતે દ્રવચાલિત (hydraullic) હોય છે.

એન્જિનનો પ્રારંભ હાથથી કે પગથી ચલાવાતા લીવર વડે થાય છે. લાઇટ અને હૉર્ન માટે બૅટરી વપરાય છે. બૅટરીની અવેજીમાં લાઇટ અને હૉર્ન ઑલ્ટરનેટના પ્રત્યાવર્તી વીજપ્રવાહ પર ચાલે છે. વીજપ્રજ્વલન પદ્ધતિ મેગ્નેટો પ્રકારની હોય છે. બત્તી અને હૉર્ન માટેની વીજશક્તિ, મેગ્નેટો એકમમાં વધારાનાં ગૂંચળાં ગોઠવીને પ્રાપ્ત થાય છે.

ભારતના શહેરોમાં સસ્તા દરે અને સમયની રાહ જોયા વગર પરિવહન (commutation)માટે રિક્ષા એક સુવિધાપૂર્ણ વિકલ્પ છે. ત્રણ પૈડાં વડે ચાલતા આ વાહનમાં 2-3 મુસાફરને સમાવી શકાય છે, તદ્ઉપરાંત નાના અને લઘુઉદ્યોગમાં સામાનની હેરફેર માટે માલવાહક રિક્ષાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. રિક્ષાનું વાહન પેટ્રોલ અને ડીઝલના ઈંધણથી આજ પર્યંત વપરાશમાં હતું જેનાથી શહેરોના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ઘણું વધ્યું છે.

સને 1998માં સુપ્રીમ કોર્ટના હુકમથી CNG અથવા LPGનું ઈંધણ વાપરવાનું ફરજિયાત થવાથી પેટ્રોલ વડે ચાલતી રિક્ષાના બદલે મોટી સંખ્યામાં CNG અથવા LPG રિક્ષાનો વપરાશ/ઉપયોગ થઈ રહ્યો છે.

CNG અને LPG પણ એક જાતનું અશ્મિભૂત ઇંધન (Fossil Fuel) હોવાથી હવામાં પ્રદૂષણ તો કરે જ છે, આથી ઇલેક્ટ્રિક બૅટરીથી ચાલતી રિક્ષા બજારમાં મૂકવામાં આવી છે. બૅટરીથી ચાલતી આ રિક્ષા હવા અને ધ્વનિનું પ્રદૂષણ નહિવત્ કરવામાં સફળ થઈ છે.

ન. ધ. શેઠ

પ્રકાશ ભગવતી