એમ. આઇ.-5 (military intelligence-5) (1909) : ઇંગ્લૅન્ડમાં આંતરિક સલામતી તથા પ્રતિગુપ્તચર પ્રવૃત્તિઓ(counter-intelligence)નું સંયોજન કરતી ગુપ્તચર સંસ્થા. આને સોળમી સદીમાં રાણી ઇલિઝાબેથ પ્રથમના સેક્રેટરી ઑવ્ સ્ટેટ સર ફ્રાન્સિસ વાલસિંઘામ દ્વારા ઊભી કરવામાં આવેલી ગુપ્તચર સંસ્થાની અનુગામી સંસ્થા ગણવામાં આવે છે. લશ્કરની ગુપ્તચર સેવાઓને લગતા માળખાના સેક્શન-5માં આ સંગઠનનો ઉલ્લેખ હોવાથી તેનું નામ એમ.આઇ.-5 પડ્યું છે. આ સંગઠનનો મૂળ ઉદ્દેશ ઇંગ્લૅન્ડમાં જાસૂસી કરતા જર્મન ગુપ્તચરો શોધી કાઢવાનો તથા તેમની પ્રવૃત્તિઓનો પ્રતિકાર કરવાનો હતો. દેશની સલામતી જોખમાય તેવી કોઈ પણ વ્યક્તિ અથવા પ્રવૃત્તિની તપાસ હાથ ધરવાની તેને સત્તા છે, પરંતુ કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા નથી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે