આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ

January, 2002

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ (ઉત્તર પ્રદેશ; સ્થાપના 1910) : મૌર્ય કાળ(ઈ. પૂ. બીજી સદીથી તેરમી સદી)ની શિલ્પકૃતિઓ અને હાથકારીગરીનો વિપુલ સંગ્રહ. આ મ્યુઝિયમમાં વારાણસી પાસે આવેલા સારનાથના બૌદ્ધ વિહારોના ઉત્ખનનમાંથી મળી આવેલ બારમી સદી સુધીનાં પાષાણશિલ્પો, માટીની પક્વ શિલ્પકૃતિઓ, મૃત્પાત્રો, તકતીલેખો અને મુદ્રાઓ પ્રદર્શિત કરાયાં છે.

Le musée archéologique de Sârnâth

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ

સૌ. "Le musée archéologique de Sârnâth" | CC BY 2.0

આ મ્યુઝિયમમાં સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપ્રતીક તરીકે પસંદ કરવામાં આવેલ અશોકના શિલાસ્તંભની ટોચ પરની મોટી સિંહ-શિરાવટી (2.31 મીટરની ઊંચાઈવાળી)નું પ્રથમ શિલ્પ ધ્યાનાર્હ છે. આ સિંહ-શિરાવટી ઝાંખા પીળાશ પડતા ભૂરા રેત-પથ્થરમાંથી કંડારેલ છે. આ આખા શિલ્પને ઓપ આપવામાં આવેલો છે અને આજે પણ તેની સપાટીની ચમક સચવાયેલી છે.

Lion Capital of Ashoka

અશોકના શિલાસ્તંભની સિંહ-શિરાવટીનું પ્રથમ શિલ્પ

સૌ. "Lion Capital of Ashoka" | Public Domain, CC0

અંદરના ખંડની ડાબી દીવાલ આગળ આસનસ્થ બુદ્ધની 2 પ્રતિમાઓ છે; તે પૈકીની એક ધર્મોપદેશ કરતા બુદ્ધની પાંચમી સદીની છે. સિંહ-શિરાવટીની 2 ભવ્ય મૂર્તિઓ પૈકીની એક પહેલી-બીજી સદીની બોધિસત્વની છે. તે પ્રાચીન કુષાણ કળાની શૈલીની નક્કર શિલ્પકૃતિ છે. ખંડની ચોમેર અને જમણી બાજુની લાંબી ગૅલરીમાં બુદ્ધની અભયસૂચક ઊંચા હાથવાળી ઊભી અનેક પ્રતિમાઓ છે.

5世纪佛立像 2

બુદ્ધ પ્રતિમા – પાંચમી સદી

સૌ. "5世纪佛立像 2" | CC BY-SA 4.0

આ ઉપરાંત અહીં હિંદુ શિલ્પકૃતિઓના અનેક ટુકડાઓ, સુશોભિત મકાનોના અને વિહારોના ભાગો, ઓજારો, પાત્રો, અને ટેરાકોટાના નમૂનાઓ, મણકા, રમકડાં વગેરે વિવિધ પુરાવશેષો સંગૃહીત કરાયાં છે. આ મ્યુઝિયમનો વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક છે.

બળદેવભાઈ કનીજિયા