આબુવાલા, શેખાદમ

January, 2002

આબુવાલા, શેખાદમ (જ. 15 ઑક્ટોબર 1929, અમદાવાદ; અ. 20 મે 1985, અમદાવાદ) : ગુજરાતી કવિ, નવલકથાકાર, પત્રકાર. આખું નામ શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા. દાઉદી વહોરા પરિવારમાં જન્મ. અમદાવાદની સેંટ ઝેવિયર્સ તેમજ ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી સાથે બી. એ. (ઑનર્સ) થઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-હિન્દી સાથે એમ. એ. પાસ થયા. જર્મનીમાં બૉન અને માઇન્ડ યુનિવર્સિટીમાં જર્મન સાહિત્ય અને ફિલસૂફીનો અભ્યાસ કર્યો. ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, જર્મન અને ગ્રીક જેવી અનેક ભાષાઓ પર કાબૂ ધરાવતા હતા. તેમને અમરકોશ મોઢે હતો.

શેખાદમ આબુવાલા

અમદાવાદની અંજુમને ઇસ્લામ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યા બાદ ‘ગુજરાત સમાચાર’માં સેવાઓ આપી. પછી જર્મની ગયા. આખા વિશ્વનો પ્રવાસ કર્યો. જર્મનીમાં ઠરીઠામ થયા. જર્મન આકાશવાણી ડોઈશે વેલે(Voice of Germany)ના હિન્દી વિભાગની તેમણે શરૂઆત કરી હતી. જીવનનાં વીસેક વર્ષ (1956થી 1974) તેમણે જર્મનીમાં વિતાવ્યાં હતાં. નાનપણમાં જ તેમણે પિતાશ્રી મુલ્લાં શુજાઉદ્દીનની છત્રછાયા ગુમાવી હતી. માતા મોતીબાઈ પ્રત્યે આદમને અનન્ય પ્રેમ અને ભક્તિભાવ. પોતાનો ‘ઘિરતે બાદલ, ખુલતે બાદલ’ નામનો હિન્દી કાવ્ય-સંગ્રહ પોતાની માને અર્પણ કરતાં તેમણે લખ્યું છે :

‘મૈં જનમ લૂં તો મેહરબાં હોના,

તૂ મેરી બાર બાર મા હોના…’

માની સાથે રહી શકાય, તેને સાચવી શકાય એ વાસ્તે જર્મનીની જંગી પગારની નોકરી છોડીને તેઓ મા પાસે, અમદાવાદ આવી રહ્યા.

તેઓ શાળામાં ભણતા હતા ત્યારથી કાવ્યો લખવાની શરૂઆત તેમણે કરી હતી. છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે ‘સંસ્કૃતિ’ના ત્રીજા જ અંકમાં તેમનાં ત્રણ કાવ્યો પ્રગટ થતાં પ્રોત્સાહિત થઈને તેમણે કાવ્યો તથા ગઝલો તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કર્યું. મુશાયરાઓમાં તેમની ઘણી માગ રહેતી. કવિ તરીકે તેમને પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા મળી. ‘ચાંદની’ (1953), ‘અજંપો’ (1959), ‘સોનેરી લટ’ (1959), ‘ખુરસી અને બીજાં કાવ્યો’ (1972), ‘તાજમહાલ’, ‘હવાની હવેલી’ (1978), ‘સનમ’, ‘ઘિરતે બાદલ, ખુલતે બાદલ’, ‘અપને ઇક ખ્વાબ કો દફનાકે અભી આયા હૂં’, ‘ગઝલેં-1’, ‘ગઝલેં-2’  એમ લગભગ ચૌદ જેટલા કાવ્ય-ગઝલસંગ્રહો તેમના નામે જમા છે.

વિદેશમાં પોતે ફર્યા ને તેમાંથી તેમને જે આંતરરાષ્ટ્રીય અનુભવો થયા તેની કથાઓ તેમણે ‘હું એક ભટકતો શાયર છું’(1972)માં આલેખી છે. તેઓ જર્મનીમાં હતા ત્યારે ત્યાંથી ‘ગુજરાત સમાચાર’ અને ‘ઊર્મિ-નવરચના’માં લેખ-શ્રેણી લખી મોકલતા. જર્મની છોડીને અમદાવાદમાં સ્થાયી થઈને તેમણે અખબારો માટે હળવી-ગંભીર શૈલીમાં લેખો, મુલાકાતો, અવલોકનો, વ્યક્તિચિત્રો વગેરે લખવા માંડેલાં, જે લગભગ જીવનના અંત સુધી ચાલુ હતાં. આ ઉપરાંત તેમણે છાપાં માટે ધારાવાહી નવલકથાઓ પણ લખી હતી : ‘તમન્નાના તમાશા’ (1976), ‘તું એક ગુલાબી સપનું છે’ (1976), ‘ચાલું છું, મંઝિલ નથી’, ‘આયનામાં કોણ છે ?’ (1977), ‘નીંદર સાચી, સપનાં જૂઠાં’ (1976), ‘રેશમી ઉજાગરા’ (1979), ‘ફૂલ બનીને આવજો’ (1980), ‘જિંદગી હસતી રહી’. તેમની પ્રથમ નવલકથા. ‘તું એક ગુલાબી સપનું છે’ માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું. મૂળ જર્મન ભાષામાંથી તેમણે ‘શ્રેષ્ઠ જર્મન વાર્તાઓ’ ગુજરાતીમાં ઉતારી છે. તેમના અવસાન બાદ, તેમનાં કાવ્યોમાંથી ચૂંટીને ડૉ. ચિનુ મોદીએ ‘આદમથી શેખાદમ સુધી’ નામે એક કાવ્યસંગ્રહ સંપાદિત કરેલ છે, અને તેમના લેખોમાંથી પસંદ કરીને ‘સારા જહાં હમારા’ નામે એક સંપાદન વિનોદ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ‘તસવીર દિખાતા હૂં’ (મુલાકાતો), ‘માનવી ને આ જગત’ (પ્રસંગો), – ‘જમાલપુરથી જર્મની’ (પ્રસંગો) અને ‘આદમની આડવાત’ (વિવિધ વૃત્તપત્રોમાં લખાયેલા પ્રસંગો)  – આ ચાર પુસ્તકો જયન્ત પરમારે સંપાદિત કરેલાં 1999માં પ્રકટ થયાં છે. તેમનાં લખેલાં ગીતો અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં પ્રસારિત થયેલાં છે, વળી પંકજ ઉધાસ જેવા અનેક ગાયકોના કંઠે તેમનાં રચેલાં ગીતો ગવાયાં છે.

શેખાદમ પાસે એક આગવી શૈલી, એક વિશિષ્ટ મુદ્રા છે. વાકચાતુરી, અવળવાણી, શબ્દરમત, ટુચકા વગેરે પ્રયુક્તિઓનો આશ્રય લઈ પોતાના વક્તવ્યને તેઓ નક્કર બનાવતા હતા. કવિ, પત્રકાર ને નવલકથાકાર હોવા ઉપરાંત તેઓ એક અતિ ભલા, નિ:સ્વાર્થી અને પ્રેમાળ સજ્જન હતા. તેમના ફૂલગુલાબી અને ચંચળ સ્વભાવનાં દર્શન તેમનાં ગીતોમાં થાય છે.

વિનોદ જશવંતલાલ ભટ્ટ