અલકેશ્વરી (રૂપભવાની) (જ. 1621, શ્રીનગર; અ. 1721) : કાશ્મીરની પ્રસિદ્ધ મધ્યકાલીન સંત કવયિત્રી. પિતા માધવધર સંસ્કૃતના પંડિત. બાળપણથી જ પિતા પાસે આધ્યાત્મિક શિક્ષણ લીધું, પછી વર્ષો સુધી યોગસાધના કરી. યોગિનીઓની પરંપરામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. એમણે જે પદો લખ્યાં છે, તે કાશ્મીરી ‘વખ્ખ’ પ્રકારનાં છે. એમાં એમણે અગમનિગમને ઋજુતાથી ગાયો છે. એમની કવિતા પર ઉપનિષદનો ઘેરો પ્રભાવ છે. ઉપનિષદની વાણી એમણે સરળ રીતે ભાવકને સ્પર્શી જાય તે રીતે ગાઈ છે. એમની કવિતામાં આધ્યાત્મિકતા સાથે ઊર્મિનું તત્વ પણ એટલું જ પ્રાણવાન છે, અને તેથી તે રસસભર છે.

ચન્દ્રકાન્ત મહેતા