અબાન્તર (1978) : આધુનિક ઊડિયા કાવ્યસંગ્રહ. અનંત પટનાયકના આ કાવ્યસંગ્રહને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકના આ સંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. તેમાં કવિ માનવીની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે અન્તર્સૃષ્ટિમાં જ રમણ કરે છે. તે પ્રયોગશીલ કવિ છે. વિષય અને શૈલીની દૃષ્ટિએ તેમણે આ સંગ્રહમાં અનેક ધ્યાનપાત્ર પ્રયોગો કર્યા છે. ભદ્ર સમાજમાં વપરાતી ભાષાની સાથે સાથે લોકબોલીનો પણ તેમણે છૂટથી ઉપયોગ કર્યો છે. એમના આ સંગ્રહ માટે ઓરિસા સરકારનો પણ પુરસ્કાર એમને મળ્યો છે.

વર્ષા દાસ