અન્ટુ ધિસ લાસ્ટ

January, 2001

અન્ટુ ધિસ લાસ્ટ (1860) : અંગ્રેજ સંસ્કૃતિચિંતક અને કળામીમાંસક જૉન રસ્કિન(1819–1900)ની સુપ્રસિદ્ધ ગદ્ય કૃતિ. આર્થિક ઉત્કર્ષ અને સામાજિક નીતિનિયમોનાં ધોરણો વચ્ચે સંવાદ અનિવાર્ય હોવો જોઈએ એમ એ દૃઢપણે માને છે. પ્રચલિત આર્થિક સિદ્ધાંતોમાં રહેલી વિસંગતિઓ પ્રગટ કરતા તેમના ચાર નિબંધો ‘અન્ટુ ધિસ લાસ્ટ’માં સંગ્રહેલા છે. પહેલા નિબંધ ‘ધ રૂટ્સ ઑવ્ ઑનર’માં દર્શાવ્યું છે કે આધુનિક રાજકીય અર્થશાસ્ત્ર વિજ્ઞાન નથી, પણ ભ્રમ છે. બીજો નિબંધ ‘વેન્સ ઑવ્ વેલ્થ’ દર્શાવે છે કે અમુક વર્ગની સમૃદ્ધિમાં જ ગરીબીનું મૂળ રહેલું છે. મિલના આર્થિક સિદ્ધાંતને રસ્કિન વ્યાપારી અર્થકારણ તરીકે ઓળખાવે છે. ત્રીજા નિબંધ ‘ક્વિજ્યુડિકેટીસ’માં તે જણાવે છે કે સરકાર અને સહકાર જીવનના સિદ્ધાંતો છે, જ્યારે અરાજકતા અને સ્પર્ધા મૃત્યુના સિદ્ધાંતો છે. ચોથા નિબંધ ‘ઍડ્ વેલૉરમ’માં તેમણે ચીજવસ્તુઓના ઉપભોગના પ્રશ્નને કેન્દ્રમાં રાખી ચર્ચા કરી છે. અહીં રસ્કિને મિલના અર્થશાસ્ત્ર અને નીતિમત્તાને કોઈ સંબંધ નથી એવા મતની તીવ્ર ટીકા કરી છે. રસ્કિનનો પ્રયત્ન સમૃદ્ધ વર્ગ અને અકિંચન વર્ગ વચ્ચે સંવાદ અને શાંતિ સ્થાપવાનો રહ્યો છે. તેની દૃષ્ટિએ જ્યાં ઉમદા મનુષ્યોનું પ્રમાણ વધુમાં વધુ હોય તે દેશ સમૃદ્ધ છે. તેનો ઉદ્દેશ સરળ અને નિર્વ્યાજ આનંદની પ્રાપ્તિ છે, નહિ કે વિશેષ સમૃદ્ધિ. ગાંધીજીની રાજકીય-સામાજિક-આર્થિક વિચારસરણી ઉપર રસ્કિનના ‘અન્ટુ ધિસ લાસ્ટ’માં વ્યક્ત કરેલા નીતિમૂલક અભિગમનો નિર્ણાયક પ્રભાવ રહેલો છે.

આરમઈતી દાવર