અકાર્બનિક ઔષધરસાયણ

(Inorganic Pharmaceutical Chemistry)

ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic).

અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે.

વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને નાઇટ્રોજન પૈકી ઑક્સિજન અને હીલિયમનું 20 : 80 પ્રમાણનું મિશ્રણ ‘કૃત્રિમ હવા’ તરીકે શ્વાસોચ્છવાસની ક્રિયાની સરળતા માટે વપરાય છે. નાઇટ્રોજનની જેમ હીલિયમ રક્તમાં દ્રાવ્ય નથી તેથી જળમાં ડૂબકી મારનાર (divers) માટે તે ખાસ ઉપયોગી છે. હીલિયમના બદલે નાઇટ્રોજન વાપરવાથી ઊંડા જળમાંથી બહાર આવતી વખતે રક્તમાં દ્રવેલ નાઇટ્રોજન ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. ન્યુમોનિયા, હૃદયશૂળ, દમ, શ્વાસનળીનો સોજો વગેરે દર્દોમાં હવાને બદલે ઑક્સિજન આપવાથી દર્દીને ઘણી રાહત થાય છે. રેડૉન (વાયુ) કૅન્સરના કોષોનો નાશ કરવા માટે ઉપયોગી છે. આ કાર્ય તેમાંથી નીકળતાં γ કિરણો કરે છે.

હાઇડ્રોજન અને ઑક્સિજન સંયોજાઈને બે સંયોજનો, પાણી અને હાઇડ્રોજન પેરૉક્સાઇડ આપે છે. હાઇડ્રોજન પેરૉક્સાઇડનું ત્વરિત વિઘટન થતાં નીકળતા ઑક્સિજનને કારણે તે જીવાણુનાશક તરીકે ઉપયોગી છે. ખાદ્ય પદાર્થો તથા ઔષધોનાં પરિરક્ષણ (preservation) માટે ડબ્બા કે બાટલીઓમાં હવાને બદલે નાઇટ્રોજન ભરાય છે. નાઇટ્રસ ઑક્સાઇડ સામાન્ય નિશ્ચેતક (anaesthetic) તરીકે; સોડિયમ નાઇટ્રાઇટ સાયનાઇડના પ્રતિવિષ તરીકે; પોટૅશિયમ નાઇટ્રેટ મૂત્રલ તરીકે; બિસ્મથ નાઇટ્રેટ કષાય (astringent), શોષક અને રક્ષણાત્મક તરીકે અને સિલ્વર નાઇટ્રેટ કષાય તથા જીવાણુનાશક તરીકે ઉપયોગી છે. નાઇટ્રાઇટ આયન રક્તના હીમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરી વિષાલુ અસર કરે છે.

લિથિયમ બ્રોમાઇડ, કાર્બોનેટ અને સાઇટ્રેટ ગાંઠિયો વા (goat) માટે વપરાતાં હતાં. તેમની આડઅસરોને લીધે હાલમાં તે વપરાતાં નથી. લિથિયમ કાર્બોનેટ માનસિક રોગોમાં વપરાય છે. સોડિયમ ક્લોરાઇડ વિદ્યુતવિભાજ્યક પુન:પૂરક (electrolyte replenisher) તરીકે અને શરીરમાં રહેલ પ્રવાહીઓનાં સમરસાકર્ષી (isotonic) દ્રાવણો અને ઇંજેક્શનો માટે વપરાય છે. સોડિયમ ક્ષારો પાણીને સંગ્રહી રાખવાનો ગુણ ધરાવતા હોઈ, રુધિરાભિસરણ અંગેની તથા મૂત્રિંપડની બીમારીવાળી વ્યક્તિઓએ તેમના ઉપયોગ બાબત કાળજી રાખવી પડે છે. સોડિયમ તથા પોટૅશિયમના બાયકાર્બોનેટ, સાઇટ્રેટ, એસેટેટ જેવા ક્ષારો ઍસિડ-આલ્કલી સંતુલન જાળવવા તથા શરીરમાંનો પાણીનો જથ્થો નિયમિત કરવા માટે વપરાય છે. ઘણાં કાર્બનિક ઔષધો તેમની જલદ્રાવ્યતા વધારવા માટે સોડિયમ/પોટૅશિયમ ક્ષારોના રૂપમાં વપરાય છે. દા.ત., સોડિયમ ફિનોબાર્બિટલ, પોટૅશિયમ બેન્ઝાઇલ પેનિસિલીન.

રેડિયમ કૅન્સર કોષોનો નાશ કરવા માટે તેમાંથી નીકળતાં γ-કિરણોને કારણે ઉપયોગી છે. હાલમાં કોબાલ્ટ, Co–60 અને સિઝિયન Cs–137 રેડિયમની સરખામણીમાં ઘણાં સોંઘાં હોઈ વપરાય છે. એમોનિયાનું મંદ દ્રાવણ આલ્કલીકારક તરીકે અને એમોનિયમ કાર્બોનેટ પરાવર્તક (reflex) ઉત્તેજક તરીકે (બેભાન વ્યક્તિને સૂંઘાડવા માટે), બ્રોમાઇડ નિદ્રાપ્રેરક તરીકે તથા ક્લોરાઇડ અને કાર્બોનેટ કફ છૂટો પાડનાર તરીકે વપરાય છે.

તાંબું (કૉપર), ચાંદી (સિલ્વર) અને સુવર્ણનાં સંયોજનો પૈકી કૉપર સલ્ફેટ ફૂગનાશક (funicide) તરીકે ચામડીનાં દર્દોમાં ઉપયોગી છે. ફૉસ્ફરસના ઝેરમાં પ્રતિવિષ તરીકે તે વપરાય છે. પેશાબમાં ગ્લુકોઝનું પ્રમાણ કૉપરના ટાર્ટરિક ઍસિડ/સાઇટ્રિક ઍસિડ સાથેના સંકીર્ણ વડે માપી શકાય છે. કલિલ (colloid) રૂપમાં તથા સંયોજનો રૂપે સુવર્ણ (gold) ચામડીનાં ઘારાં (lupus erythematosus) રૂઝવવા માટે અને સંધિવા(osteoarthritis)માં ઉપયોગી છે. વધુ પ્રમાણમાં સુવર્ણ વિષાલુ છે.

મૅગ્નેશિયમનાં સંયોજનો જેવાં કે ઑક્સાઇડ, હાઇડ્રૉક્સાઇડ, કાર્બોનેટ, ફૉસ્ફેટ અને ટ્રાયસિલિકેટ અમ્લતાનાશક તરીકે; હાઇડ્રૉક્સાઇડ અને સલ્ફેટ રેચક તરીકે તથા સલ્ફેટ ઇંજેક્શન રૂપમાં આંચકી કે તાણશામક તરીકે વપરાય છે. મૅગ્નેશિયમ સલ્ફેટનું વધુ સાંદ્રતાવાળું દ્રાવણ સોજા ઉતારવા માટે પણ વપરાય છે. મૅગ્નેશિયમની વિષાલુ અસર ક્વચિત્ દેખાય છે. આધુનિક સંશોધને સાબિત કર્યું છે કે મૅગ્નેશિયમ કૅલ્શિયમ ચૅનલ બ્લૉકર (channel blocker) તરીકે કામ કરી હૃદય અને ધમનીઓનાં (cardio-vascular) દર્દોમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કૅલ્શિયમ ગ્લુકોનેટ મૅગ્નેશિયમની વિષાલુ અસર સામે પ્રતિવિષ છે. કૅલ્શિયમ હાડકાંમાં 40% જેટલું હોય છે. કૅલ્શિયમ કાર્બોનેટ અને કૅલ્શિયમ ટ્રાયબેઝિક ફૉસ્ફેટ અમ્લતાનાશક તરીકે, કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ કષાય તરીકે, કૅલ્શિયમ ક્લોરાઇડ અને કૅલ્શિયમ ડાયબેઝિક ફૉસ્ફેટ આયન પુન:પૂરક (ion-replenisher) તરીકે વપરાય છે. કૅલ્શિયમ ગ્લિસરોફૉસ્ફેટ, કૅલ્શિયમ લેક્ટેટ વગેરે કૅલ્શિયમપૂરકો તરીકે અગત્યનાં છે. બેરિયમનાં સંયોજનો વિષાલુ છે. તેના પ્રતિવિષ તરીકે મૅગ્નેશિયમ સલ્ફેટ વપરાય છે. બેરિયમ સલ્ફેટ અદ્રાવ્ય હોઈ તે અન્નમાર્ગના અવયવોની X-કિરણો વડે તપાસ કરવામાં ઉપયોગી છે.

જસતનાં સંયોજનો શરીરના કોઈ ભાગ ઉપર બાહ્ય ઉપચાર માટે મલમ, લોશન અને ભૂકાસ્વરૂપે (powder) વપરાય છે. ઝિંક ઑક્સાઇડ, ઝિંક ક્લોરાઇડ કષાય અને પ્રતિસંવેદક (desensitiser), ઝિંક સલ્ફેટ કષાય (આંખ માટે) અને ઝિંક પેરૉક્સાઇડ જીવાણુનાશક ગુણો ધરાવે છે. પારો (mercury) અને તેનાં સંયોજનો પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગો માટે જાણીતાં છે. મર્ક્યુરસ ક્લોરાઇડ (Calomel) રેચક તરીકે અને મર્ક્યુરિક ક્લોરાઇડ જીવાણુનાશક તરીકે એક સમયે વ્યાપક રીતે વપરાતાં હતાં. મર્ક્યુરીનાં દ્રાવ્ય સંયોજનો અતિશય વિષાલુ હોઈ તેમનો ઉપયોગ નહિવત્ છે. મર્ક્યુરીનાં કાર્બનિક સંયોજનો મર્ક્યુરોક્રોમ (જીવાણુનાશક) અને મેરાલ્યુરાઇડ (મૂત્રલ) વપરાય છે. એમોનિયેટેડ મર્ક્યુરી જીવાણુનાશક ગુણો ધરાવે છે. મર્ક્યુરીના પ્રતિવિષ તરીકે સોડિયમ ફોર્માલ્ડિહાઇડસલ્ફોક્સિલેટ ઉપયોગી છે.

બોરોન તથા ઍલ્યુમિનિયમનાં સંયોજનો પૈકી બોરિક ઍસિડ અને બોરેક્સ મંદ જીવાણુનાશક ગુણો ધરાવે છે. સામાન્ય રીતે આંખો ધોવા માટે તથા શૃંગાર-પ્રસાધનોમાં બોરિક ઍસિડ વપરાય છે. આ સંયોજનો મુખમાર્ગે લેવામાં વિષાલુ અસર કરે છે. આધુનિક સંશોધન ઉપરથી કહી શકાય કે બોરોનનાં સંયોજનો આનુવંશિક વિકૃતિ (teratogenic) ઉપજાવે છે. આથી અનાજ તથા કઠોળની સાચવણીમાં બોરિક ઍસિડ/બોરેક્સનો ઉપયોગ હિતાવહ નથી. ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ/ફૉસ્ફેટ જઠરના ઍસિડને દૂર કરવા માટે (gastric antacid) ઉપયોગી છે. ફટકડી કષાય ગુણ ધરાવે છે. હાઇડ્રેટેડ ઍલ્યુમિનિયમ સિલિકેટ(કેઓલિન, ચિનાઈ માટી)માં પ્રસ્વેદશોષક અને ચામડીને સુંવાળી રાખવાના (demulcent, શામક) ગુણો છે.

કાર્બનડાયૉક્સાઇડ (5થી 7.5%) શ્વસન-ઉત્તેજક (respiratory stimulant) તરીકે કાર્ય કરે છે. કાર્બોનિક ઍસિડના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ક્ષારો ઔષધ તરીકે ઉપયોગી છે. સિલિકનનાં સંયોજનોમાં મૅગ્નેશિયમ ટ્રાયસિલિકેટ જઠરની અમ્લતા દૂર કરવા માટે ઉપયોગી છે. કલાઈ(tin)નાં સંયોજનોમાં સ્ટેનસ ફ્લોરાઇડ દાંતના રક્ષણ માટે અને સ્ટેનસ ઑક્સાઇડ જીવાણુનાશક તરીકે ઉપયોગી છે. સીસા(lead)નાં સંયોજનો પ્રાચીન સમયથી ઔષધ તરીકે વપરાતાં આવ્યાં છે. લેડ સંચયી (cumulative) વિષ હોઈ હાલમાં ફક્ત બાહ્ય ઉપયોગ માટે જ તેના ક્ષારો વપરાય છે. ટાઇટેનિયમ ઑક્સાઇડનો વક્રીભવનાંક વધુ છે, તેથી સૂર્યના પ્રકાશથી ત્વચાને રક્ષણ આપવા માટે લોશન તથા ક્રીમમાં તે વપરાય છે.

ફૉસ્ફરસનાં સંયોજનોમાં ટ્રાયબેઝિક કૅલ્શિયમ ફૉસ્ફેટ, મૅગ્નેશિયમ ફૉસ્ફેટ અને ઍલ્યુમિનિયમ ફૉસ્ફેટ જઠરમાં અમ્લતારોધી તરીકે ઉપયોગી છે. ડાયબેઝિક સોડિયમ ફૉસ્ફેટ રેચક ઔષધોમાં અસરકારક ઘટક છે.

આર્સેનિકનાં સંયોજનો અતિશય વિષાલુ છે, ટેન્ટલમ ધાતુને શરીર સ્વીકારે છે. તેના ઉપર શરીરનાં રસાયણોની અસર થતી નથી અને શરીરની પેશીઓ તેને હાડકાં તરીકે સ્વીકારે છે, જેથી ભાંગેલાં હાડકાંનાં તેની સાથેનાં જોડાણો યથાવત્ રહે છે. ટેન્ટલમનો ઑક્સાઇડ છાંટવાના પાઉડર તરીકે ઉપયોગ થાય છે.

ગંધક (sulphur) મલમ, ક્રીમ, લોશન, છાંટવાનો પાઉડર વગેરે ઔષધીય બનાવટોમાં વપરાય છે, તેનું મુખ્ય કાર્ય જીવાણુનાશક, ફૂગનાશક તરીકેનું છે. સલ્ફરનાં સલ્ફાઇડ અને પોલિસલ્ફાઇડ સંયોજનો ત્વચાના રોગોમાં જીવાણુનાશક તરીકે; ઝિંક સલ્ફાઇડ સફેદ લોશનના રૂપમાં કષાય તરીકે અને રક્ષણાત્મક અસર માટે વપરાય છે. સેલેનિયમનું એકમાત્ર સંયોજન, સેલેનિયમ સલ્ફાઇડ ખોડો મટાડવાના ગુણને કારણે ઔષધ તરીકે માથાનો ખોડો દૂર કરનાર (antiseborrheic) લોશન, શૅમ્પૂ વગેરેમાં વપરાય છે. સોડિયમ બાયસલ્ફાઇટ, મેટાબાયસલ્ફાઇટ અને થાયોસલ્ફેટ ઉપચયરોધી (anti-oxidant) તરીકે વપરાય છે. સોડિયમ થાયોસલ્ફેટ, ચામડીના અમુક રોગોમાં વપરાય છે. ગોલ્ડ સોડિયમ થાયોસલ્ફેટ, ઇંજેક્શન રૂપે સંધિવાના દુખાવામાં વપરાય છે.

ફ્લોરિન જીવરસાયણની દૃષ્ટિએ અગત્યનું તત્ત્વ છે. દાંતના સડાને રોકવા તેનાં સોડિયમ અને સ્ટેનસ સંયોજનો દંતમંજન વગેરેમાં વપરાય છે. જઠરના હાઇડ્રૉક્લોરિક ઍસિડની ઊણપ દૂર કરવા મંદ હાઇડ્રૉક્લોરિક ઍસિડ મુખ દ્વારા અપાય છે. ડકિનના દ્રાવણ (Dakin’s solution) તરીકે ઓળખાતું સોડિયમ હાઇપોક્લોરાઇટનું દ્રાવણ જીવાણુનાશક તરીકે ઘાની સાફસૂફીમાં ઉપયોગી છે. આયનપૂરક તરીકે સોડિયમ અને પોટૅશિયમ શરીરમાં દ્રાવ્ય સ્વરૂપમાં દાખલ કરવા માટે તેમના ક્લોરાઇડ રૂપમાં વપરાય છે. બ્રોમીનનાં સંયોજનોમાં સોડિયમ, પોટૅશિયમ અને એમોનિયમ બ્રોમાઇડ નિદ્રાપ્રેરક ગુણો ધરાવે છે. આના દીર્ઘ સમયના વપરાશથી વિષાલુ અસર થાય છે. આયોડિનનું આલ્કોહૉલમાં 2થી 5 ટકાનું દ્રાવણ (ટિંક્ચર ઑવ્ આયોડિન) ખૂબ જ અસરકારક જીવાણુ અને ફૂગનાશક છે. થાઇરોઇડ ગ્રંથિમાં થાયરોક્સીન રૂપે આયોડિન સંગ્રહાય છે. થાયરોક્સીન અગત્યનું અંત:સ્રાવી રસાયણ છે. ખોરાકમાંથી આયોડિન ન મળતાં ગલગંડ/કંઠમાળ (goitre) નો રોગ થાય છે. આયોડિનનું વધુ પ્રમાણ વિષાલુ છે. સોડિયમ થાયોસલ્ફેટ અને મકાઈનો સ્ટાર્ચ તેનાં પ્રતિવિષ છે. મૅંગેનીઝનું અગત્યનું સંયોજન પોટૅશિયમ પરમૅંગેનેટ જીવાણુનાશક, કષાય, વિશુદ્ધિકારક અને ગંધનાશક તરીકેના ગુણો ધરાવે છે. આલ્કેલોઇડના પ્રતિવિષ તરીકે તે ઉપયોગી છે. મૅંગેનીઝ અતિ અલ્પ માત્રામાં વનસ્પતિ તેમજ પ્રાણીના વિકાસ માટે જરૂરી છે પણ વધુ માત્રામાં તે વિષાલુ અસર કરે છે.

લોહ(iron)નાં સંયોજનો ફેરસ સલ્ફેટ, ફેરસ ગ્લૂકોનેટ અને ફેરસ ફ્યુમરેટ ઔષધીય રસાયણમાં ઉપયોગી છે. શરીરની તંદુરસ્તી માટે લોહ જરૂરી છે. તેની ખામી પાંડુરોગ (anaemia) તરીકે જાણીતી છે.

કોબાલ્ટ અતિ અલ્પ માત્રામાં પણ અતિ જરૂરી તત્ત્વ છે. વિટામિન B12ના અણુમાં કોબાલ્ટ એક ઘટક છે. લોહતત્ત્વના શોષણમાં અલ્પ પ્રમાણમાં કોબાલ્ટ જરૂરી છે. પાંડુરોગમાં આયર્નના ક્ષારો સાથે અલ્પ માત્રામાં કોબાલ્ટના ક્ષારો ઉમેરવામાં આવે છે. કૅન્સરની સારવારમાં કોબાલ્ટનો સમસ્થાનિક Co-60 ઉપયોગી છે. તેમાંથી નીકળતાં γ-કિરણો કૅન્સરના કોષોનો નાશ કરે છે. Cp-60નું અર્ધઆયુષ્ય 5.3 વર્ષ હોઈ ધીમે ધીમે તેના બદલે સિઝિયમ-137, જેનું અર્ધઆયુષ્ય 30 વર્ષ છે, તે વપરાશમાં આવી રહ્યું છે.

ડોલરરાય દામજીભાઈ ભાલારા

કિશોર પંડ્યા