અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી.

શેરશાહની સામે કનોજના યુદ્ધમાં ઈ. સ. 1540માં પરાજય પામ્યા બાદ હુમાયૂંના 15 વર્ષ સુધીના રખડપાટના જીવનની શરૂઆત થઈ. આ દરમિયાન સિંધના અમરકોટ ગામ પાસે તેની બેગમ હમીદાબાનુએ 15મી ઑક્ટોબર 1542ના રોજ એક પુત્રને જન્મ આપ્યો. તેનું મૂળ નામ બદર્-ઉદ્-દીન હતું, પરંતુ હુમાયૂંએ પુત્રનું નામ જલાલુદ્દીન મુહમ્મદ અકબર રાખ્યું. આ સમયે હુમાયૂં પાસે સેવકોને ભેટ આપવા કસ્તૂરી સિવાય અન્ય કોઈ વસ્તુ નહિ હોઈને તેણે સેવકોને કસ્તૂરી વહેંચતાં ઉચ્ચાર્યું કે કસ્તૂરીની સુવાસની માફક મારા પુત્રની સુવાસ પણ સમસ્ત દેશમાં વિસ્તરશે. બન્યું પણ તેમ જ.

અકબરના યોગ્ય શિક્ષણ માટે હુમાયૂંએ તે સમયના વિખ્યાત મુસ્લિમ વિદ્વાનો મુલ્લા ઇસામુદ્દીન ઇબ્રાહિમ, મૌલાના અબુલ કાદિર, મીર અબ્દુલ લતીફ વગેરેની નિયુક્તિ કરી. પરંતુ અકબરને અભ્યાસ કરતાં ઘોડેસવારી, તલવારબાજી, ખેલકૂદ વગેરેમાં વિશેષ રસ હોવાથી તેનું અક્ષરજ્ઞાન આગળ વધી શક્યું નહિ. પિતા હુમાયૂંનું દિલ્હીમાં મહેલની સીડી પરથી નીચે પડી જતાં 26મી જાન્યુઆરી 1556ના રોજ આકસ્મિક અવસાન થયું ત્યારે અકબર ફક્ત 14 વર્ષનો હતો. આ સમયે તે વઝીર બૈરમખાન (ખાન બાબા) સાથે પંજાબના કાલાનૌર ગામે હતો; આથી બૈરમખાને ત્યાં જ અકબરનો રાજ્યાભિષેક કર્યો (ફેબ્રુઆરી 1556). તત્કાલીન અવ્યવસ્થાનો લાભ લઈને બિહારના સૂર શાસક મુહમ્મદ આદિલશાહે પોતાના કાબેલ સેનાપતિ હેમુની સહાયથી મુઘલ સૂબેદાર તાર્દીબેગને નસાડી મૂકીને દિલ્હી કબજે કર્યું. અકબરની સરદારી નીચેના મુઘલ સૈન્ય તથા હેમુના સૈન્ય વચ્ચે નવેમ્બર 1556માં પાણીપત મુકામે થયેલા નિર્ણાયક યુદ્ધમાં હેમુનો પરાજય થયો અને તેનો વધ કરવામાં આવ્યો. આમ, પાણીપતના દ્વિતીય યુદ્ધથી ભારતમાં અકબરને હાથે મુઘલ સત્તાની પુન:સ્થાપના થઈ.

પછીનાં ચાર વર્ષ (ઈ. સ. 1556-1560) બૈરમખાનના પૂર્ણ તથા આપખુદ શાસનનાં વર્ષો કહી શકાય. આ સમય દરમિયાન બૈરમખાને મુઘલ શાસનને સ્થિર અને સલામત બનાવ્યું, પણ તેણે સગાંઓ અને શિયાઓ(પોતે શિયાપંથી હોવાથી)ને ઉચ્ચ હોદ્દા પર મૂક્યા. તેથી સુન્ની અમીરો તથા અધિકારીઓ નારાજ થયા. વળી બૈરમખાને સત્તાના જોશમાં અકબરની પણ અવગણના કરતાં અકબરે બૈરમખાનને મક્કા હજ કરવા જવાની સગવડ આપીને રાજ્યની ધુરા પોતાના હસ્તક લીધી. માર્ગમાં બૈરમખાને કરેલ બળવામાં તેનો પરાજય થયો, પરંતુ તેની ભૂતકાલીન સેવાઓને ધ્યાનમાં લઈને અકબરે તેને ક્ષમા આપી. મક્કાની યાત્રા માટે આગળ વધતાં બૈરમખાનની ગુજરાતમાં પાટણ મુકામે એક પુરાણા શત્રુને હાથે હત્યા થઈ (1562). અકબરે તેના કુટુંબને દિલ્હી બોલાવી તેની સાથે ખૂબ જ ઉદાર વર્તન દાખવ્યું.

બૈરમખાનના પતન બાદના અકબરના શાસનનાં બે વર્ષો (1560-62) ત્રિયા-શાસનનાં વર્ષો ગણાય છે, કારણ કે આ સમય દરમિયાન અકબરની દૂધમાતા માહમ આંગા મુખ્ય કર્તાહર્તા હતી. માહમ આંગાના વિરોધી, પરંતુ અકબરના ખાસ વફાદાર અને કુશળ વહીવટકર્તા શમ્સુદ્દીનની અકબરે મંત્રી તરીકે નિમણૂક કરતાં માહમ આંગાના પુત્ર આદમખાને શમ્સુદ્દીનની હત્યા કરી. આથી અકબરે આદમખાનને મહેલની અગાસી પરથી નીચે ફેંકાવીને મારી નખાવ્યો (મે 1562). આના આઘાતથી માહમ આંગા જૂન 1562માં અવસાન પામતાં અકબર સર્વોપરી શાસક બન્યો.

અન્ય મધ્યયુગીન શાસકોની માફક અકબર પણ એક મહાન સામ્રાજ્યવાદી હતો અને તેને પોતાનું રાજ્ય ઉત્તરે અફઘાનિસ્તાન—કાશ્મીરથી દક્ષિણે મૈસૂર સુધી તથા પશ્ચિમે ગુજરાતથી પૂર્વમાં બંગાળ સુધી ફેલાવવાની મહત્ત્વાકાંક્ષા હતી. આ આશયથી અકબરે 1562થી 1605 (અવસાન) સુધીમાં અનેક લડાઈઓ કરી અને તેમાં બહુધા જીતો મેળવીને ભારતભરમાં પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને રાજકીય એકતા પણ આપી. અકબરનાં યુદ્ધો ખૂબ જ ઝડપી અને આક્રમક હોવા છતાંય તેમાં મોટેભાગે ઉદારતાનો અંશ હતો. અકબરે 1562થી 1601 સુધીમાં અનુક્રમે માળવા, જબલપુર પાસેનું ગોંદવાના, રણથંભોર, કાલિંજર, ચિતોડ (મેવાડ), જોધપુર, ગુજરાત, મેવાડ, બંગાળ, કાબુલ, કાશ્મીર, સિંધ, કંદહાર, અહમદનગર તથા અસીરગઢ તાબે કર્યાં. તેમાં ગોંદવાનાની વીર રાણી દુર્ગાવતી તથા તેના બહાદુર પુત્ર વીર નારાયણે મુઘલોને સખત લડાઈ આપીને શહીદી વહોરી (1564). અકબરે ફક્ત 9 દિવસમાં 965 કિમી.ની મજલ કાપીને ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાને આખરી પરાજય આપીને ગુજરાતને મુઘલ સામ્રાજ્યમાં સમાવી દીધું (1573). આનાથી મુઘલ સામ્રાજ્યને બંદરનો લાભ મળતાં તેના વેપાર-વાણિજ્યનો વિકાસ થયો. ઐતિહાસિક દૃષ્ટિએ અકબરનું સૌથી મહત્ત્વનું યુદ્ધ મેવાડના મહારાણા પ્રતાપસિંહ સામે હલદીઘાટીનું (1576) હતું. મેવાડની સ્વાધીનતા માટે મહારાણા પ્રતાપ અને તેના સૈનિકો રાજા માનસિંહની સરદારી નીચેના વિશાળ મુઘલ સૈન્ય સામે અપ્રતિમ વીરતાથી લડ્યા, પરંતુ આખરે મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેમને જંગલનો આશરો લેવો પડ્યો. કર્નલ ટૉડે હલદીઘાટીને મેવાડની થર્મોપિલી કહી છે. ત્યારબાદ મહારાણા પ્રતાપ અનેક મુશ્કેલીઓ વચ્ચે સ્વતંત્રતા માટે જીવનના અંત (1597) સુધી અકબર સામે લડતા રહ્યા અને ચિતોડ સિવાયનો મેવાડનો ઘણોખરો મુલક મુઘલો પાસેથી ફરી કબજે કર્યો. તેમના અવસાન બાદ તેમના પુત્ર અમરસિંહે ચિતોડ સહિતનો બાકીનો પ્રદેશ પણ મુઘલો પાસેથી પુન: તાબે કર્યો.

અકબરનાં બીજાં બે નોંધપાત્ર યુદ્ધો દખ્ખણમાં અહમદનગર તથા અસીરગઢ સામેનાં હતાં. અહમદનગરની વહીવટકર્તા સુલતાના ચાંદબીબીએ મુઘલ સૈન્યનો ખૂબ જ વીરતાપૂર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણને નિષ્ફળ બનાવ્યું (1595-96), પરંતુ ત્યારબાદ અકબરના પોતાના સેનાનીપદ નીચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર અંતિમ આક્રમણ કર્યું (1600), ત્યારે આંતરિક ખટપટમાં ચાંદબીબીની હત્યા થઈ, જેથી મુઘલોએ અહમદનગર જીતી લીધું અને તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું. તે સમયે ખાનદેશના અસીરગઢનો કિલ્લો ખૂબ મજબૂત મનાતો હતો. ખાનદેશના સુલતાને અકબરની અધીનતા સ્વીકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરતાં અકબરે કિલ્લાને ઘેરો ઘાલ્યો, પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામાં નિષ્ફળ જતાં કિલ્લાના અધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવી કિલ્લો તાબે કર્યો. આમ અકબરે સોનાની ચાવીથી અસીરગઢનો કિલ્લો જીત્યો (1601).

એક દીર્ઘદર્શી રાજવી તરીકે અકબર માનતો હતો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યને સ્થિર કરવા તથા વિકસાવવા દેશમાં વિશાળ બહુમતી ધરાવતી રાજપૂત-હિંદુ વસ્તી પ્રત્યે ઉદાર નીતિ અપનાવવી જરૂરી હતી; આથી અકબરે રાજપૂતો સાથે લગ્નસંબંધો બાંધ્યા, રાજ્યમાં તેમને ઊંચા હોદ્દાઓ આપ્યા તથા તેમના પ્રત્યે ધાર્મિક સહિષ્ણુતાની નીતિ અપનાવી. આને પરિણામે અકબરને વીર રાજપૂતોની સેવા પ્રાપ્ત થઈ, મુઘલ સામ્રાજ્યનો વિકાસ થયો તથા હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય થયો. પોતાની હિંદુ પ્રજાનો સહકાર મેળવવા અકબરે જજિયા-વેરો તથા યાત્રા-વેરો નાબૂદ કર્યો, પોતાના રાજ્યમાં ગૌવધની મનાઈ ફરમાવી, હિંદુઓને પૂર્ણ ધાર્મિક સ્વાતંત્ર્ય આપ્યું તથા તેમને મંદિરો બાંધવાની છૂટ આપી. અકબરે રાજપૂતો તથા હિંદુઓને ઊંચા હોદ્દા આપ્યા જેને પરિણામે મુઘલ સામ્રાજ્યને ટોડરમલ, માનસિંહ, બિરબલ, બેદીચંદ વગેરેની સેવાઓ પ્રાપ્ત થઈ.

અકબરે ધાર્મિક સુધારાની સાથે વહીવટી, સામાજિક તથા શૈક્ષણિક સુધારા પણ કર્યા. તેણે પોતાના વિશાળ સામ્રાજ્યને કેન્દ્ર, સૂબાઓ (પ્રાંતો), સરકાર (જિલ્લા), પરગણા (તાલુકા) તથા ગ્રામ એકમોમાં  વ્યવસ્થિત કર્યું. તેણે મહેસૂલી, લશ્કરી તથા વહીવટી વ્યવસ્થાની પૂરક મનસબદારી પદ્ધતિ પણ અમલમાં મૂકી. તેણે મુખ્ય નગરોનું અલગ વહીવટી એકમ બનાવ્યું. અકબરે ગુલામીપ્રથાનો અંત આણી હજારો ગુલામોને મુક્ત કર્યા. તેણે દારૂબંધી ફરમાવી, ફરજિયાત સતીપ્રથા બંધ કરાવી તથા કન્યાની હત્યા માટે કડક સજાની જોગવાઈ કરી. અકબરે 14 વર્ષથી નીચેની કન્યા તથા 16 વર્ષથી નીચેના છોકરાનાં લગ્ન પર તથા વૃદ્ધલગ્ન પર પ્રતિબંધ મૂક્યો. તેણે વિધવાવિવાહની છૂટ આપી. પહેલી પત્નીથી પુરુષને સંતાન ન હોય તો જ તેને બીજી પત્ની કરવાની છૂટ અપાઈ. અકબરે વેશ્યાવૃત્તિ તથા ભિક્ષુકવૃત્તિ પર નિયંત્રણો મૂક્યાં. સામાજિક સુધારાનો અમલ કરાવવા અકબરે ખાસ અધિકારીઓની નિયુક્તિ કરી.

અકબરે શિક્ષણ, સાહિત્ય અને કલાને આપેલ ઉત્તેજન પણ પ્રશસ્ય છે. પોતે અક્ષરજ્ઞાન મેળવ્યું ન હતું, તોપણ શિક્ષણને ક્ષેત્રે તેણે કરેલા સુધારા નોંધપાત્ર હતા. અકબરે અનુક્રમે મસ્જિદો તથા મંદિરો સાથે જોડાયેલ મદરેસાઓ અને પાઠશાળાઓને ઉદાર સહાય કરી, ઉપરાંત મૌલવીઓ અને પંડિતોની ખાનગી શાળાઓને પણ સક્રિય સહાય કરી. અકબરે દિલ્હી, આગ્રા, શિયાલકોટ તથા ફતેહપુર-સિક્રીમાં ઉચ્ચ શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી, જેમાં હિંદુ-મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા. અકબરે ફતેહપુર-સિક્રીમાં કન્યાઓના શિક્ષણ માટે અલગ કન્યાશાળા ખોલી હતી. પુખ્ત વયના વિદ્યાર્થીઓ માટે ધર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ગણિત, ભૂમિતિ, કૃષિવિદ્યા, સામુદ્રિક શાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, ઇતિહાસ, વ્યાકરણ વગેરે ઉપરાંત હિંદુ પાઠશાળાઓમાં રામાયણ, મહાભારત, પુરાણો તથા સંસ્કૃતિનો અભ્યાસ, જ્યારે મુસ્લિમ મદરેસાઓમાં કુરાન તથા ફારસીનો અભ્યાસ અનિવાર્ય મનાતો. અકબરે રાજધાનીમાં સ્થાપેલ પુસ્તકાલયમાં અરબી, સંસ્કૃત, તુર્કી, ફારસી, ગ્રીક વગેરે ભાષાઓમાં લખાયેલ આશરે 54,000 હસ્તપ્રતો (ગ્રંથો) હતી.

અકબરે સાહિત્ય અને સાહિત્યકારોને આપેલ ઉત્તેજન તેની મોટી સિદ્ધિ કહી શકાય. તેણે સંસ્કૃત, અરબી, તુર્કી વગેરે ભાષાઓમાંનાં ઉત્તમ પુસ્તકોના અનુવાદ માટે એક અલગ અનુવાદ વિભાગ સ્થાપ્યો. રામાયણ, મહાભારત, અથર્વવેદ, લીલાવતી ગણિત, રાજતરંગિણી, પંચતંત્ર, હરિવંશ પુરાણ વગેરે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં બદાયૂની, અબુલફઝલ, ફૈઝી વગેરે પાસે અનુવાદ કરાવ્યા. એણે અબ્દુર્રહીમ ખાનખાના પાસે તુઝુકે-બાબરી(બાબરીનામા)નો તુર્કીમાંથી ફારસીમાં અનુવાદ કરાવ્યો. અકબરની પ્રેરણાથી અબુલફઝલે ‘અકબરનામા’ તથા ‘આઇને અકબરી’, નિઝામુદ્દીન અહમદે ‘તબકાતે અકબરી’ તથા બદાયૂની(અબ્દુલકાદિર)એ ‘મુન્તખાબ-ઉત્તતવારિખ’ નામે વિખ્યાત ફારસી કૃતિઓ રચી. આ ગ્રંથોમાં અકબર અને તેના સમયનું વિસ્તૃત વર્ણન છે. અકબરે ઉદાર નીતિથી હિંદી સાહિત્યને ઉત્તેજન આપ્યું. પરિણામે અબ્દુર્રહીમ ખાનખાનાએ ‘રહીમ સતસઇ’ નામે જાણીતી હિંદી કૃતિ રચી. બિરબલ, ભગવાનદાસ, માનસિંહ વગેરેએ હિંદીમાં કાવ્યો રચ્યાં. અકબરના સમકાલીન મહાન સંત કવિ તુલસીદાસે (1535-1623) અવધીમાં ‘રામચરિતમાનસ’ નામે વિખ્યાત ગ્રંથ રચ્યો, જ્યારે અંધ કવિ સૂરદાસે શ્રીકૃષ્ણના જીવનપ્રસંગોને લગતો ‘સૂર-સાગર’ નામે જાણીતો ગ્રંથ વ્રજભાષામાં લખ્યો. અબુલફઝલે ‘અકબરનામા’માં સૂરદાસનો અકબરની રાજસભાના મહાન સંગીતકાર તરીકે ઉલ્લેખ કરેલ છે. આ ઉપરાંત અકબરના ઉત્તેજનથી વિઠ્ઠલનાથ (વલ્લભાચાર્યજીના પુત્ર), નંદદાસ, કુંભનદાસ, કેશવદાસ, નાભાજી વગેરેએ તથા મુસ્લિમ સંત રસખાને હિંદી ભાષામાં પોતાની કૃતિઓ રચી.

અકબરને શિક્ષણ અને સાહિત્યની માફક કલા અને સ્થાપત્યમાં પણ ઘણો રસ હતો. તેણે સંત સલીમ ચિસ્તીના માનમાં આગ્રા પાસે ફતેહપુર-સિક્રી નામે નવું શહેર વસાવ્યું. આ શહેરનો બુલંદ દરવાજો ભારતમાં સૌથી ઊંચો અને વિશ્ર્વમાં સૌથી મોટા દરવાજાઓમાંનો એક ગણાય છે. આ શહેરનાં અન્ય બાંધકામોમાં જામા મસ્જિદ, રાણી જોધાબાઈનો મહેલ, બિરબલનો મહેલ, દીવાને ખાસ, ઇબાદતખાના (પ્રાર્થનાગૃહ) વગેરે ખૂબ જાણીતાં છે. આમાંનાં મોટાભાગના બાંધકામો હિંદુ શૈલીનાં છે. અકબરે જાતદેખરેખ નીચે બંધાવેલ આગ્રા અને લાહોરના કિલ્લા પણ નોંધપાત્ર છે. અબુલફઝલે ‘આઇને અકબરી’માં નોંધ કર્યા મુજબ અકબર ચિત્રકલાને ઈશ્ર્વરને ઓળખવાની કલા માનતો. તેણે વિખ્યાત ઈરાની ચિત્રકાર અબ્દુસ્સમદની રાહબરી નીચે ચિત્રશાળા શરૂ કરી. તેમાં હિંદુ-મુસ્લિમ મળીને 100 ઉપરાંત ચિત્રકારો હતા, જેમાં મોટાભાગના હિંદુઓ હતા. મુસ્લિમોમાં અબ્દુસ્સમદ, મીર સૈયદઅલી તથા ફરુખ બેગ, જ્યારે હિંદુઓમાં દસવન્ત, બસવન, તારાચંદ, જગન્નાથ, ભીમ ગુજરાતી વગેરે મુખ્ય ચિત્રકારો હતા. અબુલફઝલના કથન મુજબ અકબરે સંગીતને પણ ખૂબ પ્રાધાન્ય આપેલું. તે પોતે સંગીતનો સારો એવો જાણકાર હતો. તેની રાજસભામાં 36 સંગીતકારોમાં તાનસેન, બાબા રામદાસ, બૈજુ બાવરા, સૂરદાસ, બાજ બહાદુર (માળવાનો ભૂતપૂર્વ શાસક), લાલ કલાવંત વગેરે મુખ્ય હતા.

અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને સહિષ્ણુ હતી. તે પ્રત્યેક ધર્મમાં રહેલ મૂળ સત્ય શોધી કાઢવા ઇચ્છતો હતો અને એ રીતે તે રાજ્યમાં રહેતી જુદી જુદી કોમો (ખાસ કરીને હિંદુ અને મુસ્લિમ) વચ્ચે રાજકીય, સાંસ્કૃતિક તથા ધાર્મિક એકતા સ્થાપિત કરવા માગતો હતો. આ આશયથી અકબરે ફતેહપુર-સિક્રીમાં ‘ઇબાદતખાના’(પ્રાર્થનાગૃહ)ની સ્થાપના કરી (1575) તથા તેમાં ધાર્મિક ચર્ચા કરવા માટે તેણે જુદા જુદા ધર્મોના પંડિતોને નિમંત્ર્યા, જેમાં હિંદુ ધર્મના પુરુષોત્તમ અને દેવી તથા પુષ્ટિમાર્ગના વૈષ્ણવાચાર્ય વિઠ્ઠલનાથજી, મુસ્લિમ ધર્મના શેખ અબ્દુલ્લા અને અબ્દુલનબી (કટ્ટર સુન્ની) તથા અબુલફઝલ અને ફૈઝી (ઉદારમતવાદી), જૈન ધર્મના હીરવિજયસૂરિ, ભાનુચંદ્ર તથા શાંતિચંદ્ર; પારસી ધર્મના દસ્તુરજી મેહરજી રાણા, શીખ ધર્મના ગુરુ રામદાસ તથા ગોવામાંથી ખ્રિસ્તી ધર્મના રુડોલ્ફ એક્વાવીવા, એન્ટની મોન્સરેટ અને ફ્રાન્સિસ હેનરી ક્વેઝ મુખ્ય હતા.

સાત વર્ષ (1575-1582) સુધી ધાર્મિક ચર્ચા-વિચારણાને અંતે અકબરે પ્રત્યેક ધર્મના મૂળ સિદ્ધાંતોને આવરી લેતો ‘તોહીદે ઇલાહી’ (દીને ઇલાહી-એકેશ્વરવાદી) નામે નવો ધર્મ સ્થાપ્યો (1582). દીને ઇલાહીના નિયમો સાદા અને સરળ હતા. તેનું સભ્યપદ પણ મરજિયાત હતું. દીને ઇલાહી દ્વારા પરસ્પર ઝઘડતા વિવિધ સંપ્રદાયોમાં ધાર્મિક સમન્વય સાધીને અકબર દેશની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક એકતા સ્થાપિત કરવા ઇચ્છતો હતો. આમ દીને ઇલાહી તેની સહિષ્ણુ અને સમન્વયકારી નીતિનો પ્રતીક હતો. દીને ઇલાહીના સિદ્ધાંતો મુખ્યત્વે પોતાના યુગથી ખૂબ આગળ હોઈને અકબરના અવસાન (1605) સાથે તેનો અંત આવ્યો.

અકબરના જીવન પરથી ફિલ્મ અને ટી.વી. સીરિયલો પણ બની છે. ભારતમાં સૌથી પહેલો અકબરનો રોલ પૃથ્વીરાજ કપૂરે 1960માં બનેલી ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં ભજવ્યો હતો. 1979ની ‘મીરા’ ફિલ્મમાં અકબરનું પાત્ર રજૂ થયું હતું. 2008માં બનેલી ‘જોધા અકબર’ ફિલ્મમાં રીતિક રોશને અકબરનું પાત્ર ભજવ્યું હતું. 1990ના દશકામાં ઝી ટીવીમાં અકબર-બિરબલની વાર્તાઓ પરથી ધારાવાહિક શ્રેણી રજૂ થઈ હતી. દૂરદર્શનમાં પણ 90ના દાયકામાં ‘અકબર ધ ગ્રેટ’ ધારાવાહિક શ્રેણી બની હતી. 2013-2015 દરમિયાન ઝી ટીવીમાં ‘જોધા અકબર’ નામથી ટીવી સિરીઝ રજૂ થઈ હતી.

રમણલાલ ક. ધારૈયા