અંત:સ્થ જળપરિવાહ

January, 2001

અંત:સ્થ જળપરિવાહ : કોઈ પણ પ્રદેશની નદીઓ, મહાસાગરો કે સમુદ્રને મળવાને બદલે આંતરિક સરોવરમાં પડે કે રણવિસ્તારમાં સમાઈ જાય તે પ્રકારનો જળપરિવાહ. યુ.એસ.એ.માં ઉટાહના પશ્ચિમ ભાગ અને નેવાડાના નીચા પ્રદેશનો જળપરિવાહ અંત:સ્થ પ્રકારનો છે. અહીં ખારા સરોવરમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે અથવા તે ભૂમિમાં શોષાઈ જાય છે. મધ્ય-પૂર્વ એશિયાની જૉર્ડન નદી પણ ખારા મૃત સરોવરમાં જ પડે છે. કામ્પુચિયા દેશની નદીઓ પણ મધ્યના નીચા પ્રદેશના તોનલેસેપ સરોવરમાં પડે છે. ઉત્તર ગુજરાતની બનાસ, રૂપેણ જેવી નદીઓ કચ્છના રણમાં સમાઈ જાય છે.

મહેન્દ્ર રા. શાહ