ખદિરાદિવટી

January, 2010

ખદિરાદિવટી : આયુર્વેદિક ઔષધ. સફેદ ખેરના ક્ષાર તથા વિટ્-ખદિરના ક્ષારનો ક્વાથ બનાવી ગાળી ફરી ઉકાળતાં ઘટ્ટ થાય ત્યારે તેમાં સફેદ ચંદન, પદ્મકાષ્ઠ, ખસ, મજીઠ, ધાવડીનાં ફૂલ, નાગરમોથ, પુંડરીકકાષ્ઠ, જેઠીમધ, તજ, ઇલાયચી, તમાલપત્ર, નાગકેસર, લાખ, રસવંતી, જટામાંસી, ત્રિફલા, લોધ્ર, વાળો, હળદર, દારુહળદર, પ્રિયંગુ, એલચો, લાજવંતી, કાયફળ, વજ, જવાસો, અગર, પતંગ, સોનાગેરુ તથા અંજનનું ચૂર્ણ મેળવી નીચે ઉતારી ઠંડું થયેથી તેમાં લવિંગ, નખલા, ચણકબાબ, જાવંત્રી અને કપૂરનું ચૂર્ણ મેળવી, બબ્બે રતીની ગોળીઓ બનાવી લેવાય છે. દાંતના અને મોંના રોગો, મોંની દુર્ગંધ, અવાજ બેસી જવો, ખાંસી, ગળાનો શોથ વગેરેમાં 1થી 2 ગોળી ચૂસવા માટે અપાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા