અઢારસો સત્તાવન(1857)નો વિપ્લવ

January, 2001

અઢારસો સત્તાવન(1857)નો વિપ્લવ

બ્રિટિશ શાસન વિરુદ્ધ હિંદી લશ્કરના સિપાઈઓએ કરેલો બળવો. બરાકપુર છાવણીની 34મી પલટણના મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબારો કર્યા. મેરઠના હિન્દી સૈનિકોએ 10મી મે 1857ના રોજ કેટલાક અંગ્રેજોની હત્યા કરીને બળવાની શરૂઆત કરી.

ગુજરાતમાં : ભારતમાં 1857ના વિપ્લવ માટેનાં લગભગ બધાં જ પરિબળો અને કારણો ગુજરાતના વિપ્લવમાં મોજૂદ હોવા ઉપરાંત ગુજરાતના વિપ્લવમાં અમુક વિશિષ્ટ પરિબળો પણ હતાં. ડેલહાઉસીએ નિયુક્ત કરેલ ઇનામ કમિશનની ભલામણો અનુસાર ગુજરાતના ઘણાખરા પ્રદેશોના ઠાકોરો અને તાલુકદારોની બક્ષિસમાં મળેલી જમીનો જપ્ત થઈ હતી. વિશેષમાં કંપની સરકારની રાજકીય તથા આર્થિક નીતિએ ગુજરાતના નાના જાગીરદારોની આર્થિક પાયમાલી સર્જી. આથી તેઓએ ગુજરાતના વિપ્લવમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. ગુજરાતના લશ્કરમાં આરબ, મકરાણી, સિંધી, મરાઠા, પવારી, મુસ્લિમ વગેરેની ભરતી મોટા પ્રમાણમાં થતી, જ્યારે ગુજરાતની લડાયક કોમો કાઠી, કોળી, ભીલ, ધારાળા, ઠાકરડા, નાયકડા વગેરેની ભરતી જૂજ પ્રમાણમાં થતી. પરિણામે આ લોકો ગુજરાતમાં વિપ્લવના મુખ્ય વાહક બન્યા. ગુજરાતની આસપાસના મધ્ય ભારત, રાજપૂતાના તથા મહારાષ્ટ્રના પ્રદેશોમાં થયેલા વિપ્લવે ગુજરાતના વિપ્લવને ઉત્તેજન આપ્યું. ગુજરાતમાં સાધુઓ અને ફકીરોના કંપની સરકાર વિરુદ્ધના પ્રચારે વિપ્લવકારીઓને પ્રેરણા આપી. ગુજરાતનાં વર્તમાનપત્રોએ ભારતમાંના વિપ્લવના અને કંપની સરકારના અત્યાચારોના સમાચારો મોટાં મથાળાં સાથે છાપીને ગુજરાતમાં વિપ્લવને ઉત્તેજિત કર્યો. 1844માં મીઠા પર વધારવામાં આવેલ કર સામે તથા 1848માં તોલમાપનાં દાખલ કરાયેલ નવાં સાધનો સામે સૂરતમાં થયેલા સફળ સામુદાયિક સત્યાગ્રહોએ પણ ગુજરાતમાં 1857ના વિપ્લવને પ્રેરણા આપી. ભરૂચમાં મે 1857માં મુસ્લિમો તથા પારસીઓ વચ્ચે થયેલ કોમી હુલ્લડને 1857ના વિપ્લવ સાથે જોડી દેવામાં આવ્યું. ઉપરાંત, ચરબીવાળા કારતૂસની હકીકત ગુજરાતમાં લશ્કર તથા લોકોમાં ચોમેર ફેલાઈ. આથી પણ ગુજરાતમાં વિપ્લવને ઉત્તેજન મળ્યું.

ગુજરાતમાં વિપ્લવની શરૂઆત અમદાવાદમાં થઈ. તેમાં બળવાના ચાર નિષ્ફળ પ્રયાસો થયા. પ્રથમ જૂન 1857માં અમદાવાદની 7મી ટુકડીએ તેના સૂબેદારની આગેવાની નીચે બળવો પોકાર્યો. પરંતુ તેને ક્રૂર રીતે દાબી દેવાયો અને ટુકડી અને તેના સૂબેદારને સખત સજા કરવામાં આવી. બીજો પ્રયાસ જુલાઈ, 1857માં ગુજરાત અશ્વદળની ટુકડીએ કર્યો. તેના પણ આવા જ હાલ થયા. સપ્ટેમ્બર, 1857માં ગ્રેનેડીઅર ટુકડીનો બળવો પણ અન્ય ટુકડીઓના સાથને અભાવે નિષ્ફળ ગયો અને તેના 21 સિપાઈઓને ફાંસી આપવામાં આવી. અમદાવાદમાંથી વિપ્લવનું સૌથી મહત્ત્વનું આયોજન સપ્ટેમ્બર-ઑક્ટોબર, 1857માં શાહીબાગમાં કરવામાં આવ્યું. તેના મુખ્ય આગેવાનો વડોદરાના મહારાજા ગાયકવાડ ખંડેરાવના સાવકાભાઈ ગોવિંદરાવ ગાયકવાડ (બાપુ ગાયકવાડ), ભાઉસાહેબ પવાર, ભોંસલે રાજા, વડોદરાના વેપારી નિહાલચંદ ઝવેરી તથા પાટણના વાણિયા મગનલાલ હતા. તેઓએ મહી નદીનાં કોતરોમાં આશરે 5000નું લશ્કર એકત્રિત કર્યું. મહારાજા ખંડેરાવ અંગ્રેજતરફી હોવાથી પ્રથમ તેમને પદભ્રષ્ટ કરીને, વડોદરા તાબે કરીને, બાદમાં અમદાવાદનો કબજો લેવાનું તેમનું આયોજન હતું. પરંતુ એક જાસૂસ મારફત આની માહિતી ગાયકવાડ ખંડેરાવ તથા બ્રિટિશ રેસિડેન્ટ શેક્સપિયરને મળતાં તેઓએ લશ્કર મોકલીને બળવાખોરો પર ઓચિંતો હુમલો કર્યો. આથી વિપ્લવકારીઓ પરાજિત થયા. ઘણા વિપ્લવકારીઓને મારી નાખવામાં આવ્યા અને નિહાલચંદ, મગનલાલ તથા અન્ય દસને તોપને ગોળે ઉડાવી દેવામાં આવ્યા. ગોવિંદરાવ તથા અન્યને વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા. આ પછી અમદાવાદમાં વિપ્લવનો ભાગ્યે જ કોઈ પ્રયત્ન થયો હતો.

પંચમહાલ જિલ્લામાં જમીનદાર તિલીદારખાનના નેતૃત્વ નીચે બળવાખોરોએ દોહદ(દાહોદ)નો કબજો લીધેલો. ગોધરામાં પણ બળવો થયો. લુણાવાડાના જમીનદાર સૂરજમલનો બળવો ઘણો ઉગ્ર હતો. તે આશરે છ માસ ચાલ્યો. બાદ સૂરજમલ મેવાડ તરફ નાસી ગયો. સૂરજમલને સાથ આપવા બદલ પંચમહાલનાં બે ગામો પાલ તથા ખાનપુરનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો. પંચમહાલના નાયકડાઓએ તેમના સરદારો રૂપા નાયક અને કેવલ નાયકની નેતાગીરી નીચે સરકાર સામે કરેલો બળવો છેક ડિસેમ્બર 1858 સુધી ચાલ્યો. છેવટે રૂપા અને કેવલ માર્ચ 1859માં શરણે આવતાં નાયકડાના બંડનો અંત આવ્યો. આણંદના મુખી ગરબડદાસ અને તેના સાથીઓએ કંપની સરકારના લશ્કરને ભારે હંફાવ્યું. છેવટે પકડાઈ જતાં ગરબડદાસને આંદામાનમાં આજીવન કેદ મળી અને તેના સાથીદારોને ફાંસીએ લટકાવવામાં આવ્યા. ઉત્તર ગુજરાતમાં વિજાપુર, ચંડપ, મુંડેઠી, ખેરાલુ, વડનગર વગેરે વિપ્લવનાં મુખ્ય કેન્દ્રો હતાં. ઈડર પાસેના ચંડપ ગામના મુખીઓ નાથાજી અને ચમાજીની સરદારી નીચે ચંડપના કોળીઓએ કંપનીના લશ્કરને ભારે લડાઈ આપતાં આખા ગામનો નાશ કરવામાં આવ્યો. વિજાપુર અને વડનગરના 5,000 જેટલા કોળીઓએ કંપનીના લશ્કરને છ માસ સુધી લડાઈ આપી. મહારાજાના સામંત મુંડેઠીના ઠાકોર સૂરજમલે ઈડર રાજ્ય તથા કંપની સરકારને એક વર્ષ સુધી લડાઈ આપીને છેવટે મુંડેઠી પાછું મેળવ્યું. તેણે ઉત્તર ગુજરાતમાં વિપ્લવનાં પરિબળોને આશરે એક વર્ષ સુધી જીવંત રાખ્યાં. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નાંદોદ વગેરે વિપ્લવનાં મુખ્ય મથકો હતાં. સૌરાષ્ટ્રમાં દ્વારકા તથા ઓખા પ્રદેશના વાઘેરો શરૂઆતથી અંગ્રેજ સત્તાની વિરુદ્ધ હતા. તેઓએ જોધા માણેક, મૂળુ માણેક તથા અન્ય નેતાઓની આગેવાની નીચે આશરે નવ વર્ષ (1858-1867) સુધી કંપની તથા ગાયકવાડ સામે લડાઈ ચાલુ રાખી અને છેવટે પોતાના ઘણાખરા હક પાછા મેળવ્યા.

1857ના સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન ગુજરાતમાં લોકજાગૃતિના કેન્દ્ર સમો દાહોદનો કિલ્લો

આ પહેલાં સરકારે ગુજરાતમાં નિ:શસ્ત્રીકરણનો ધારો અમલમાં મૂકીને ઘણાખરા લોકો અને પ્રદેશોનાં હથિયાર જપ્ત કર્યાં. હથિયારો સોંપવાનો ઇન્કાર કરનાર ઉત્તર ગુજરાતના કનારિયા, દુબારા, અનોડિયા તથા આગલોડ ગામો અને ખેડા–પંચમહાલ જિલ્લાનાં પાલ તથા ખાનપુર ગામોનો નાશ કરવામાં આવ્યો (1858). નિ:શસ્ત્રીકરણના કડક અમલને લીધે ગુજરાતમાં 1858ના અંત સુધીમાં વિપ્લવ ઠરી ગયો.

ગુજરાતમાં 1857-58ના વિપ્લવના બનાવોમાં તાત્યા ટોપેનું નવેમ્બર 1858માં ગુજરાતમાં આગમન અને બ્રિટિશ સરકાર સામે ગુજરાતમાં વિપ્લવ ફેલાવવાના તેના પ્રયાસો ખાસ નોંધપાત્ર કહેવાય.

ઉત્તર ભારતમાં વિપ્લવ લગભગ શાંત થઈ ગયા બાદ તાત્યા ટોપે ચુનંદા અંગ્રેજ સેનાપતિઓને થાપ આપીને, 4,000ના લશ્કર સાથે નર્મદા ઓળંગીને નવેમ્બર 1858માં ગુજરાતમાં પ્રવેશ્યો. તે 1લી ડિસેમ્બર 1858ના રોજ વડોદરાથી આશરે 60 કિમી. દૂર આવેલ છોટાઉદેપુર પહોંચ્યો. તેનો ઇરાદો વડોદરાના મહારાજા ખંડેરાવ તથા ગુજરાતના જાગીરદારોનો સાથ મેળવીને બ્રિટિશ સત્તાને ગુજરાતમાંથી નાબૂદ કરવાનો હતો. પંચમહાલ તથા ખેડાના જાગીરદારોએ તેને પોતાના સાથની ખાતરી આપી. પરંતુ ખંડેરાવ બ્રિટિશ સરકારતરફી હોવાથી તેમણે સાથ આપવાનો ઇન્કાર કર્યો. દરમિયાનમાં તેનો પીછો કરી રહેલ બ્રિગેડિયર પાર્કના લશ્કર સાથે તાત્યાને છોટાઉદેપુર પાસે લડવું પડ્યું (2-12-1858), જેમાં તે પરાજિત થતાં વડોદરા પહોંચવાનું તેનું લક્ષ્ય સિદ્ધ થઈ શક્યું નહિ અને પંચમહાલમાં આશરે 15 દિવસ ગાળ્યા બાદ બ્રિટિશ લશ્કરના દબાણથી તેને વાંસવાડાના જંગલમાં નાસી જવું પડ્યું. ફરી ગુજરાતમાં પ્રવેશવાના તાત્યાના પ્રયાસો તેને ચારે બાજુઓથી ઘેરીને પડેલાં અંગ્રેજ લશ્કરોને લીધે સફળ થઈ શક્યા નહિ. એવું કહેવાય છે કે પેરોનના જંગલમાં પોતાના મિત્ર માનસિંહને આશ્રયે રહેલ તાત્યા ભરઊંઘમાં હતો, ત્યારે દગો કરીને માનસિંહે અંગ્રેજ લશ્કરને હાથે તેને પકડાવી દીધો (7મી એપ્રિલ 1859) અને તાત્યાને 18મી એપ્રિલ 1859ના રોજ ફાંસી આપવામાં આવી, જોકે આ હકીકત શંકાસ્પદ સાબિત થઈ છે. એવું મનાય છે કે ફાંસી અપાયેલ વ્યક્તિ બીજી હતી અને તાત્યા પેરોનના જંગલમાંથી નાસી ગયેલો તથા જીવનનાં અંતિમ વર્ષો તેણે ગુજરાતમાં નવસારી પાસે ગાળેલાં.

તાત્યા ટોપે

વિપ્લવ શમી ગયા બાદ નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, રંગો બાપુજી વગેરે નેતાઓ ગુજરાતમાં વસ્યા હોવાનું મનાય છે. ગુજરાતે પણ ભારતના અન્ય પ્રદેશોની માફક 1857ના વિપ્લવમાં સક્રિય ભાગ લીધો હતો અને માનવ, મિલકત વગેરેની ભારે ખુવારી વેઠી હતી. ભારતના અન્ય ભાગોની માફક ગુજરાતમાં પણ વિપ્લવ છૂટોછવાયો, મોડો થયો. તેમાં પણ સંગઠન તથા એકતાનો અભાવ હતો. એટલે તે નિષ્ફળ ગયો, તોપણ ભારતના અન્ય પ્રદેશોની માફક ગુજરાતે પણ વિદેશી સત્તા સામે લડવામાં ત્યાગ અને બલિદાનનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું.

નાનાસાહેબ પેશ્વા

ભારતમાં : વર્ષોથી ચાલતી પ્રક્રિયાના ફળસ્વરૂપ ઉદ્ભવેલાં પરિબળો કે કારણો ક્રાન્તિ કે વિપ્લવ સર્જે  છે. તાત્કાલિક કારણ તો તેમાં માત્ર તણખો જ મૂકે છે. રાજકીય દમન, વહીવટી ભેદભાવ, આર્થિક શોષણ, સામાજિક અસમાનતા, પરાધીનો પ્રત્યે વિદેશી કે આપખુદ સત્તાનું ભારે અન્યાયકારી વર્તન, પરાધીન રાષ્ટ્રની સંસ્કૃતિ તથા તેના ધર્મ પ્રત્યેની ઉપેક્ષા કે તેને નિર્મૂળ કરવાના પ્રયાસો, ધર્મનિરપેક્ષતાનો અભાવ, લશ્કરી અસંતોષ વગેરે કારણોથી ક્રાન્તિ કે વિપ્લવ ઉદ્ભવે છે. અમેરિકા, ફ્રાન્સ, રશિયા, ચીન વગેરે દેશોની ક્રાન્તિઓ તથા વિશ્વના ઘણાખરા દેશોના સ્વાતંત્ર્યસંગ્રામો આવાં જ કારણોથી ઉદ્ભવેલાં. ભારતમાં 1857ના વિપ્લવ માટે પણ આ પ્રકારનાં પરિબળો જવાબદાર હતાં.

1757ના પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની સરકારના શાસનનો પાયો નંખાયો. 1765માં તેને મળેલી બંગાળ, બિહાર અને ઓડિસાની દીવાનીથી ભારતમાં તેના શાસનનો પ્રારંભ થયો. તે પછીનાં 92 વર્ષ- (1765-1857)ના ગાળામાં ગવર્નર જનરલોએ આચરેલા અન્યાયો, અમલમાં મૂકેલી આર્થિક શોષણખોરી તથા રંગભેદની નીતિ વગેરેએ કંપની સરકાર પ્રત્યેના હિંદીઓના અસંતોષને ઘેરો બનાવ્યો. વેલેસ્લીની સહાયકારી યોજના, વિલિયમ બેન્ટિન્કની વિસ્તારવાદની નીતિ તથા ડેલહાઉસીની ખાલસાનીતિએ હિંદી રાજાઓ અને જાગીરદારોના અસંતોષને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. શિક્ષિત હિંદીઓને ઊંચા હોદ્દાઓથી તદ્દન બાકાત રાખવાની કંપની સરકારની નીતિએ શિક્ષિત હિંદીઓમાં કંપની પ્રત્યે અસંતોષ જગાવ્યો. કંપની સરકારની ભારે કરબોજની તથા હિંદને ભોગે ઇંગ્લૅન્ડને લાભ થાય તેવી આયાતનિકાસ તેમજ વ્યાપારી નીતિએ હિંદની ખેતીવાડી અને ઉદ્યોગોની પાયમાલી સર્જી. કંપનીની આવી શોષણખોરીથી સમૃદ્ધ હિંદ ગરીબ બન્યું. વળી કંપની સરકારની સામાજિક સુધારણાની તથા ખ્રિસ્તી બનેલા હિંદીઓને વારસામાં હક આપવાની નીતિએ રૂઢિચુસ્ત હિંદીઓમાં વિપરીત પ્રત્યાઘાતો જન્માવ્યા. હિંદી સૈનિકોનો ઘેરો બનેલો અસંતોષ એ વિપ્લવનું સૌથી મહત્ત્વનું પરિબળ કહી શકાય.

1857ના વિપ્લવ સમયે ભારતીય લશ્કરમાં આશરે 2,99,220 હિંદી સૈનિકો તથા અધિકારીઓ સહિત લગભગ 51,300 અંગ્રેજ સૈનિકો હતા. આ રીતે લશ્કરમાં હિંદી અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ આશરે 7 : 1નું હતું. વળી લડાઈ વખતની આગલી હરોળની જોખમી સેવાઓ ભારતીય સૈનિકોને બજાવવી પડતી. આમ છતાં અંગ્રેજ સૈનિકોનાં પગાર અને ભથ્થાં હિંદી સૈનિકોના પગાર અને ભથ્થાં કરતાં પાંચથી સાતગણાં હતાં. હિંદી સૈનિક જીવનભરની લશ્કરી સેવા બાદ માત્ર સૂબેદારની જગ્યા (માસિક પગાર રૂ. 60થી 70) સુધી બઢતી મેળવી શકતો, જ્યારે અંગ્રેજ સૈનિક ઉચ્ચતમ હોદ્દા સુધી બઢતી પામી શકતો. વિશેષમાં અંગ્રેજ અધિકારીઓનું હિંદી સૈનિકો પ્રત્યેનું વર્તન ઘણું તુમાખીભર્યું અને તોછડું હતું. લશ્કરી બેરેકોમાં ખ્રિસ્તી પાદરીઓનાં થતાં પ્રવચનોમાં હિંદી સૈનિકોને ફરજિયાત હાજરી આપવી પડતી. વિપ્લવના એક આગેવાન નેતા નાનાસાહેબ પેશ્વાએ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન ત્રીજા પર લખેલા ત્રણ પત્રો(28 એપ્રિલ તથા 31 મે 1857)માં કંપનીના હિંદીઓ પ્રત્યેના અન્યાયોનું વિવરણ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન 1856માં હિંદી લશ્કરમાં એન્ફિલ્ડ નામે નવી રાઇફલ દાખલ કરવામાં આવી. તેનાં કારતૂસો મોઢેથી ખોલવાનાં હતાં. આ કારતૂસોની બનાવટમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયાનું માલૂમ પડ્યું. હિંદુ અને મુસ્લિમ બંને માટે ગાય અને ડુક્કરનું માંસ વર્જ્ય હોઈને હિંદી સૈનિકોનો અસંતોષનો ધૂંધવાતો અગ્નિ પરાકાષ્ઠાએ પહોંચ્યો. આમ કારતૂસોએ 1857ના વિપ્લવમાં તણખો મૂક્યો અને તેનો અગ્નિ હિંદમાં ચોમેર ફરી વળ્યો. વિપ્લવ માટે 31મી મે 1857ની તારીખ નક્કી થઈ હોવાનું મનાય છે.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

બરાકપુર છાવણીની 19મી પલટણે એન્ફિલ્ડ રાઇફલને અડકવાનો ઇન્કાર કરતાં તેને વિખેરી નાખવાનો નિર્ણય લેવાયો. આ માટે 29મી માર્ચ 1857ના રોજ તેને મેદાન પર લાવવામાં આવી. આ સમયે 34મી પલટણના સિપાઈ મંગલ પાંડેએ ખુલ્લો બળવો પોકારી, અંગ્રેજ અધિકારીઓ પર ગોળી છોડી. તેની ધરપકડ કરીને તેને 8મી એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી. મંગલ પાંડેની શહીદીથી વિપ્લવની યોજના ખુલ્લી પડી ગઈ, અને કંપની સરકાર આવનાર બળવા સામે સજાગ બની. મેરઠની ત્રીજી અશ્વદળ ટુકડીના 85 સૈનિકોએ એન્ફિલ્ડ રાઇફલને સ્પર્શ કરવાનો ઇન્કાર કરતાં તેઓને સખત મજૂરી સાથેની 8થી 10 વર્ષની સજા કરવામાં આવી (9મી મે 1857). આથી મેરઠના હિંદી સૈનિકોએ 10મી મે 1857ના રોજ ખુલ્લો બળવો પોકાર્યો. તેઓએ કેદીઓને મુક્ત કરીને મેરઠના અંગ્રેજોની હત્યા કરી. આમ વિપ્લવ નિશ્ચિત તારીખ (31મી મે 1857) પહેલાં શરૂ થતાં, તેને ભારે નુકસાન થયું. મેરઠના સૈનિકોએ બીજે દિવસે (11મી મે) દિલ્હી પહોંચીને પાદશાહ બહાદુરશાહને વિપ્લવનું નેતૃત્વ લેવાની ફરજ પાડી. પાદશાહની બેગમ જિન્નતમહાલે સૈનિકોની સાથે મળીને વિપ્લવનું આયોજન કર્યું. સૈનિકોની અને અંગ્રેજોની કતલ કરીને દિલ્હી શહેર કબ્જે કર્યું. કાનપુરમાં પ્રથમ સૂબેદાર ટીકાસિંહની આગેવાની નીચે સૈનિકોએ બળવો પોકાર્યો (4થી જૂન 1857); અને તેઓ નાનાસાહેબ પેશ્વાને પોતાની નેતાગીરી લેવા સમજાવવામાં સફળ થયા. ત્યારબાદ કાનપુર અને ઉત્તર પ્રદેશમાં વિપ્લવપ્રસારણમાં નાનાસાહેબ, તેના મંત્રીઓ, રંગો બાપુજી તથા અઝીમુલ્લાખાન અને તેના સેનાપતિ તાત્યા ટોપેએ અગ્રભાગ ભજવ્યો.

વિપ્લવના અન્ય નેતાઓમાં અયોધ્યાના પદભ્રષ્ટ નવાબ વાજીદઅલીનાં બેગમ હજરતમહાલ તથા તેણીના વફાદાર સરદારો, ફૈજાબાદના જમીનદાર મૌલવી અહમદશાહ, શંકરપુરના જાગીરદાર રાણા વેણીમાધવ, સુઇયાના ઠાકોર નરપતસંગ, ઉપરાંતમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બિહારમાં જગદીશપુરના ઠાકોર કુંવરસિંહ તથા તેના ભાઈ અમરસિંહ, રોહિલખંડમાં બરેલીના સરદાર બહાદુરખાન, મધ્ય પ્રદેશમાં મંદસોરના શાહજાદા ફિરોજશાહ તથા અલાહાબાદના સરદાર લિયાકતઅલી મુખ્ય હતા. વિપ્લવ ઉત્તર ભારતમાં દિલ્હી, કાનપુર, લખનૌ, ઝાંસી, જગદીશપુર, બનારસ તથા અલાહાબાદ ઉપરાંત રજપૂતાનામાં નસીરાબાદ, નીમચ અને આબુમાં, મધ્ય ભારતમાં ગ્વાલિયર, ઇન્દોર, મ્હાઉ તથા મંદસોરમાં, દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, બેલગામ, જોરાપુર, નારગુંડ તથા સાવંતવાડીમાં અને ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, ગોધરા, દાહોદ, પાટણ, ખેરાળુ, વિજાપુર, રાજપીપળા, ભરૂચ તથા ઓખામાં ફેલાયો હતો. વિપ્લવ 10મી મે 1857થી એપ્રિલ 1859 એટલે આશરે બે વર્ષ સુધી ચાલુ રહ્યો હતો.

બહાદુરશાહ

બહાદુરશાહ તથા તેની બેગમ જિન્નતમહાલને જીવનનાં અંતિમ વર્ષો રંગૂનના કારાગૃહમાં વિતાવવાં પડ્યાં. રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, મૌલવી અહમદશાહ, રાણા વેણીમાધવ, બહાદુરખાન, અઝીમુલ્લાખાન વગેરે શહાદતને વર્યાં. બેગમ હજરતમહાલે નેપાલના રાણા જંગબહાદુરના આશ્રયે જીવનનાં અંતિમ વર્ષો વિતાવ્યાં. નાનાસાહેબ પેશ્વાએ પોતાનું શેષજીવન સૌરાષ્ટ્રમાં શિહોર ગામ પાસે ગાળ્યું હોવાની માન્યતા છે. તાત્યા ટોપેને 7મી એપ્રિલ 1859ના રોજ ફાંસી આપી હોવાનું કહેવાય છે; પરંતુ એક માન્યતા મુજબ તેણે પણ છટકી જઈને જીવનનાં અંતિમ વર્ષો ગુજરાતમાં નવસારી પાસે વિતાવ્યાં હતાં. તે જ રીતે રંગો બાપુજી છેલ્લાં વર્ષોમાં નર્મદાકિનારે રહ્યા હોવાનું મનાય છે. શાહજાદા ફિરોજશાહે કંપની સરકાર વિરુદ્ધ એશિયાનાં મુસ્લિમ રાષ્ટ્રોનો સાથ મેળવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા બાદ મક્કા શરીફને આશ્રયે પોતાનું જીવન સમાપ્ત કર્યું. વિપ્લવની નિષ્ફળતાનાં મુખ્ય કારણોમાં કેન્દ્રીય સંગઠન તથા સર્વોચ્ચ નેતૃત્વની ખામી, નેતાઓ તેમજ સૈનિકોમાં કુનેહ તેમજ શિસ્તનો અભાવ, પૂરતાં શસ્ત્રો-સાધનો વગેરેની ઊણપ, ઊંચ-નીચના ભેદભાવ, મધ્યવર્તી ધ્યેય તથા રાષ્ટ્રીયતાની ખામી, શીખો તેમજ ગુરખાઓનો કંપની સરકારને સાથ, રાજાઓની ઉદાસીનતા, બુદ્ધિજીવીઓના સહકારની ઊણપ, કંપની સરકારની ચઢિયાતી કુનેહ, સૈન્ય તથા શિસ્તની શક્તિ, વિપ્લવનો મર્યાદિત ફેલાવો, વિપ્લવની વહેલી શરૂઆત, વિપ્લવકારીઓની લડવાની મધ્યયુગીન પદ્ધતિ તથા તેમાં નવા દૃષ્ટિકોણનો અભાવ વગેરે ગણાવી શકાય.

વિપ્લવનાં મુખ્ય પરિણામોમાં ભારતમાંથી કંપની સરકારના શાસનનો અંત આવ્યો અને ભારતમાં બ્રિટિશ સરકારનું સીધું શાસન સ્થપાયું. બ્રિટિશ સરકારે દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિનો લગભગ ત્યાગ કર્યો અને ભારતમાં ઊગમ પામતા રાષ્ટ્રવાદ સામે તેમનો ટેકો મેળવ્યો. વહીવટમાં થોડે અંશે હિંદીઓને હિસ્સો આપ્યો અને 1858, 1861 વગેરેના ધારાઓ મુજબ અંશત: બંધારણીય વિકાસ કર્યો. સમસ્ત લશ્કરી તંત્રની પુનર્રચના કરી. સરકારે આર્થિક તેમજ વેપારી નીતિમાં થોડા ફેરફારો કરીને લોખંડ, કાપડ, રેલવે જેવા ઉદ્યોગોને કંઈક અંશે પ્રોત્સાહન આપ્યું. વિપ્લવમાં હિંદુ-મુસ્લિમ એકતાનો અનુભવ થયા બાદ સરકારે ભેદભાવ તેમજ ભાગલા પાડવાની નીતિને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકી. તે જ રીતે સામાજિક સુધારણા કરવાની નીતિ છોડી દઈને પ્રગતિશીલ હિંદીઓ સામે રૂઢિચુસ્તોનો સાથ મેળવ્યો. ખ્રિસ્તી પાદરીઓના ધર્મપ્રચાર પર અંકુશો મૂકીને ધર્મગુરુઓ અને સનાતનીઓને સરકારપક્ષે લીધા. આમ 1857 બાદ ભારતમાં વિકસતા રાષ્ટ્રવાદ સામે સરકારે રાજા-મહારાજાઓ, જાગીરદારો, ધર્મગુરુઓ, ધનિકો વગેરેનો ટેકો મેળવવામાં સફળતા મેળવી.

1857ના વિપ્લવ પરત્વે સમકાલીન તથા અનુકાલીન લેખકો અને ઇતિહાસકારોમાં મતભેદ પ્રવર્તે છે. મોટા ભાગના સમકાલીન અંગ્રેજ લેખકો વિપ્લવને બ્રિટિશ સત્તા સામેનો રાષ્ટ્રીય બળવો કહે છે, જ્યારે ઘણાખરા સમકાલીન હિંદી લેખકો તેને મહદ્ અંશે સિપાઈનો બળવો માને છે. અમુક આધુનિક ઇતિહાસકારો વિપ્લવને વિદેશી સત્તા સામેનો વિદ્રોહ કહે છે, જ્યારે અન્ય આધુનિક ઇતિહાસલેખકો તેને પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામ માને છે. વિપ્લવ પૂર્વયોજિત હોવા વિશે તથા તેની પ્રાથમિક કક્ષાએ આગેવાન નેતાઓના હિસ્સા વિશે પણ ઇતિહાસવિદોમાં ભારે મતભેદ પ્રવર્તે છે. વિપ્લવનું સ્વરૂપ ગમે તે કહીએ, તોપણ ભારતમાંથી તેણે મધ્ય યુગને સમાપ્ત કર્યો અને આધુનિક યુગનો પ્રારંભ કર્યો તથા તે પોતે સ્વાતંત્ર્યસંગ્રામ હોવાની બાબત વિવાદાસ્પદ હોવા છતાંયે તેણે ભારતના પછી આવનાર સ્વાતંત્ર્યસંગ્રામોને પ્રેરણા આપી તેમજ તેણે દેશ કાજે વીરતા, ત્યાગ અને શહાદતનું ઉમદા દૃષ્ટાંત પૂરું પાડ્યું તેમાં કોઈ મતભેદ નથી.

રમણલાલ ક. ધારૈયા